Ram Mandir: ગઇ કાલનો 22 જાન્યુઆરીનો દિવસ ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓ માટે મહત્વનો હતો, કેમ કે ગઇકાલના પાવન દિવસે ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના નિજધામ પહોંચ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ અને રામલ્લાને વૈદિક મંત્રોચ્ચારથી બિરાજમાન કરાયા હતા. આ અવસરની ઉજવણી ભારત-ચીન બૉર્ડર પર પણ જોવા મળી હતી, ભારતીય સેના અને ચીની સેનાના સૈનિકોએ એકબીજાને મોં મીઠુ કરાવ્યુ હતુ, આ ઘટનાની તસવીરો હાલમાં સામે આવી છે. 




ગઇકાલે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામલલ્લાની પહેલી આરતી ઉતારીને દેશ માટે મંદિરને ખુલ્લુ મુક્યુ હતુ, આની ઉજવણી સમગ્ર દેશમાં જોવા મળી હતી, ત્યારે હવે હાલમાં તસવીરો બૉર્ડર પરથી સામે આવી છે, જેમાં ભારતીય સેનાના જવાનો પણ રામભક્તિમાં લીન થયેલા જોવા મળી રહ્યાં છે. ભારત અને ચીનની બોર્ડર પર આવેલા અરૂણાચલ પ્રદેશમાંથી તસવીરો સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે, અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અરુણાચલ પ્રદેશમાં આવેલી ભારત અને ચીન બોર્ડર ઉપર બન્ને દેશના જવાનો શાનદાર રીતે ઉજવણી કરી રહ્યાં છે.




વીડિયોમાં જોઇ શકાય છે કે, અરુણાચલ પ્રદેશની બૉર્ડર પર ભારત અને ચીનના જવાનો એકસાથે બેસેલા છે, આ દરમિયાન ભારતીય જવાનો ચીનના જવાનોને જય શ્રી રામના નારા શીખવાડીને, નારા લગાવડાવી રહ્યાં છે. આ પ્રસંગની તસવીરોમાં બન્ને દેશના સૈનિકો જય શ્રી રામ બોલી રહ્યાં છે. આ પછી ભારતીય સેનાના જવાનો ચીનના જવાનોનું મીઠાઇ ખવડાવીને મોંઢુ મીઠું કરાવતા દેખાઇ રહ્યાં છે. 


આજથી સામાન્ય લોકો કરી શકશે રામલલાના દર્શન, જાણો કેટલા કલાક બંધ રહેશે મંદિર?


અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. આ સાથે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજાની વિધિ પણ નક્કી કરવામાં આવી છે. આ માટે શ્રી રામોપાસના નામની સંહિતા બનાવવામાં આવી છે. નિયમો અનુસાર સવારે 3 વાગ્યાથી પૂજા અને શ્રુંગારની તૈયારીઓ શરૂ થઈ જશે. રામલલાને ચાર વાગ્યે જગાડવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અનુસાર, રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે. મંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો 14 થી 15 કલાકનો હોઈ શકે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે 1949માં પ્રગટ થયેલા શ્રી રામલલાના કપડાનો રંગ દિવસ પ્રમાણે રહ્યો છે. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરશે. ભગવાન રામ મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે આછો પીળો અથવા ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રો પહેરશે. નવી બાલરૂપ મૂર્તિ માટે રામ મંદિર ટ્રસ્ટને પુણેના હેરિટેજ એન્ડ હેન્ડવીવિંગ રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કપડાં મળ્યા છે. દેશના 10 થી 15 લાખ કારીગરો તેમના વણાટ સાથે જોડાયેલા છે.


મંદિર દિવસ દરમિયાન બે કલાક બંધ રહેશે


પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ 23મી જાન્યુઆરીથી બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ, પૂજા અને શ્રુંગારની તૈયારીઓ કરવામાં આવશે. 3.30 થી 4 વાગ્યાની આસપાસ ભગવાનની બંન્ને મૂર્તિઓ અને શ્રીયંત્ર મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારબાદ મંગળા આરતી થશે. આ પછી મૂર્તિઓના અભિષેક અને શ્રુંગાર કરવામાં આવશે. શ્રૃંગાર ભોગ ચઢાવાશે. આ 4.30 થી 5 રહેશે. સવારે 8 વાગ્યાથી દર્શન શરૂ થશે. બપોરે લગભગ 1 કલાકે આરતી થશે. બે કલાક દર્શન બંધ રહેશે. ભગવાન આરામ કરશે. બપોરે 3 વાગ્યાથી દર્શન ફરી શરૂ થશે જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. દરમિયાન સાંજે સાત વાગ્યે સાંજની આરતી થશે. હવે રામલલાની અષ્ટયામ સેવા થશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. આરતીમાં સામેલ થવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલાની બે આરતીઓ થતી હતી. રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે રામલલાની મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને શયન આરતી થશે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.


સવારે 6:00 વાગ્યાથી દર્શન થશે


નવા મંદિરમાં સવારે 3:30 થી 4:00 વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે, ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી સાંજે 5:30 કલાકે શરૂ થશે અને સાંજે 6 કલાકે દર્શન શરૂ થશે. બપોરે રાજભોગ આરતી થશે. ત્યારબાદ ઉત્થાપન, સંધ્યા આરતી અને શયન આરતી થશે.