નવી દિલ્હી: અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે કોંગ્રેસની માલિકીના ન્યૂઝ પેપર નેશનલ હેરાલ્ડ સહિત ઘણી દેશી, વિદેશી મીડિયા સંસ્થાઓની સાથે-સાથે ડઝનેક કોંગ્રેસી નેતાઓ સામે કરેલો માનહાનિનો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

ગ્રુપે રફાલ બનાવતી ફ્રેન્ચ કંપની દસો એવિએશનની સાથે પોતાના ઓફસેટ એગ્રિમેન્ટને લઈને છપાયેલા લેખ અને કરાયેલા નિવેદનો સામે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હવે તેનું કહેવું છે કે, કેમ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, એટલે કેસોને પરત ખેંચવામાં આવશે.

ગ્રુપના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમને લાગે છે કે, કેટલાંક ખાસ લોકો અને કંપનીઓએ રિલાયન્સ ગ્રુપ અને દસો એવિએશનની વચ્ચે થયેલા ઓફસેટ એગ્રિમેન્ટને લઈને જે નિવેદન આપ્યા હતા તે લોકસભા ચૂંટણીને પગલે રાજકીય હિત સાધવા માટે હતા. કેમ કે, આ મામલા સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં પડતર છે, એટલે રિલાયન્સ ગ્રુપે એ લોકો અને કંપનીઓની સામે દાખલ માનહાનિના કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો.

અનિલ અંબાણીની માલિકીની કંપનીઓ રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે કોંગ્રેસના નેતા સુનીલ જાખડ, રણદીપ સિંહ સુરજેવાલા, ઓમાન ચાંડી, અશોક ચૌહાણ, અભિષેક મનુ સંઘવી, સંજય નિરુપમ, શક્તિસિંહ ગોહિલ, કેટલાંક પત્રકારો અને નેશનલ હેરાલ્ડ સામે માનહાનિનો કેસ કર્યો હતો.