નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યું છે કે, આગામી 31 ડિસેમ્બર બાદ 200 રૂપિયાની નોટ બંધ થવાની છે. આ સમાચાર સાંભળીને નાગરિકો ફરીવાર ચિંતામાં મુકાયા છે અને લોકો વાયરલ થયેલા આ મેસેજ કેટલા અંશે સાચો છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ થઇ જશે અને તેની જગ્યાએ 1000 રૂપિયાની નોટ આવશે.


નોંધનીય છે કે, અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજને અફવા ગણવ્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે બજારમાં 2000 ની નોટ ફરી રહી છે અને જે રીતે ફરી રહી છે તેને જોતા 2000 ની નોટ બંધ કરવાની હાલ કોઇ જરૂરીયાત નથી.

સપાના સાંસદ વિશ્વમ્ભર પ્રસાદ નિષાદે પુછ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ લાવવાથી કાળા નાણામાં વધારો થયો છે. લોકોમાં માન્યતા છે કે તમે 2000 રૂપિયાની નોટ બદલવા માટે 1000 રૂપિયાની નોટ ફરીથી રજુ કરવા જઈ રહ્યા છો.

નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે, "કાળુ નાણું સમાપ્ત કરવા, નકલી નોટોની સમસ્યા દૂર કરવા, આતંકવાદને ફંડિંગ રોકવા માટે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બિન ઔપચારિક અર્થતંત્રને ઔપચારિક અર્થતંત્રમાં રૂપાંતરિત કરવા અને ભારતમાં રોકડ વ્યવહાર ઓછો કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો."

આ સિવાય ચલણના સરક્યુલેશનના સવાલ પર નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગૃહને જણાવ્યું છે કે માર્ચ, 2019 સુધીમાં ચલણનું સરક્યુલેશન 21 લાખ કરોડને પાર કરી ગયું છે. આ પહેલા માર્ચ 2018 માં આ આંકડો આશરે 18 લાખ કરોડનો હતો. તે જ સમયે, માર્ચ 2017 માં ચલણનું પરિભ્રમણ લગભગ 13 લાખ કરોડ હતું. જ્યારે નોટબંધીના થોડા સમયગાળા પહેલા અર્થશાસ્ત્રમાં ચલણનું સરક્યુલેશન માર્ચ, 2016 માં લગભગ 16.41 લાખ કરોડ હતું.