નવી દિલ્હી: લોકસભામાં મંગળવારે બંધારણ (126માં સંશોધન) બિલ 2019ને મંજૂરી મળી ગઈ છે. બિલમાં લોકસભા અને વિધાનસભામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપવામાં આવેલા અનામતને 10 વર્ષ સુધી વધારવાની જોગવાઇ છે. વડાપ્રધાન મોદીએ આ બિલ પાસ થવા પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, ‘બંધારણ (126માં સંશોધન) બિલ 2019’ સર્વસમ્મતિથી પસાર થવા પર ઘણો ખુશ છું.


કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ બિલને રજૂ કર્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું કે 2011ની વસ્તીગણતરી અનુસાર દેશમાં 296 એંગ્લો ઇન્ડિયન છે. તેઓએ કહ્યું કે એંગ્લો ઇન્ડિયન માટે એક જોગવાઇ પણ છે. પરંતુ આજે આ બિલમાં તેને લાવવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે 70 વર્ષથી આ સમુદાયના બે સભ્યો સદનમાં પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે.


કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને બીજેડીના સાંસદોએ વિરોધ કર્યો અને કહ્યું કે મંત્રીનો ડેટા અતિશયોક્તિ છે. કોંગ્રેસની સાંસદ હિબી ઇડને એસસી/એસટી સમુદાયો માટે અનામતના વિસ્તારનું સમર્થન કરતા કહ્યું કે મંત્રીએ ગૃહને ગેરમાર્ગે દોર્યા છે. મારા મત વિસ્તારમાં જ લગભગ 20 હજારથી વધારે એંગ્લો ઇન્ડિયન છે.

એંગ્લો-ઇન્ડિયન સમુદાય, એસસી, એસટી માટે અનામત 25 જાન્યુઆરી 2020ના દિવસે પૂર્ણ થઇ રહ્યું છે. આગળના 10 વર્ષો માટે એટલે કે 25 જાન્યુઆરી, 2030 સુધી બેઠકોના અનામતને વધારવા માટે આ બિલ છે. જ્યારે તેમા સંસદમાં એંગ્લો ઇન્ડિયન ક્વોટાને ખતમ કરવાની જોગવાઇ છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનો સમાજ પછાત છે. એવામાં તેને બે ભાગમાં વહેંચવાની જરૂર નથી અને ક્રીમીલેયરની પણ એસસી/એસટી સમાજમાં જરૂરત નથી.