નવી દિલ્હીઃ પંડિત જવાહરલાલ નેહરૂના પૈતૃક ઘર આનંદ ભવનને પ્રયાગરાજ નગર નિગમે ચાર કરોડ 19 લાખ રૂપિયાના બાકી ટેક્સની નોટિસ આપી છે. નગર નિગમે આ નોટિસ આ ભવનની કોમર્શિયલ એક્ટિવિચટીના આધાર પર મોકલી છે. તેને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોગ્રેસ પાર્ટીએ તેનો વિરોધ કરતા સાબરમતી ટ્રસ્ટ પર પણ ટેક્સ લગાવવાની માંગ કરી છે. જવાહરલાલ નેહરૂ મેમોરિયલ ફંડ તરફથી આનંદ ભવનમાં મ્યૂઝિયમ અને પ્લેનેટોરિયમનું સંચાલન થાય છે. તેને જોવા માટે દરરોજ હજારો લોકો આવે છે અને તેમની પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવે છે. જેના આધાર પર નગર નિગમે તેને કોમર્શિયલ એક્ટિવિટી માનીને હાઉસ ટેક્સની નોટિસ મોકલી છે.


નગર નિગમ અનુસાર અગાઉ આનંદ ભવનનો હોમ ટેક્સ જમા કરવામાં આવતો હતો. જોકે અનેક વર્ષોથી હોમ ટેક્સ જમા કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે આનંદ ભવન પર બે કરોડ 71 લાખ 13 હજાર 534 રૂપિયા બાકી છે. વ્યાજ સહિત આ રકમ ચાર કરોડ 19 લાખ 57 હજાર 495 રૂપિયા થયા છે. 2003થી આનંદ ભવનનો હોમ ટેક્સ બાકી છે.

હોમ ટેક્સની નોટિસ મોકલ્યા બાદ જવાહરલાલ નેહરૂ મેમોરિયલ ફંડના વહીવટી સચિવ ડોક્ટર એન.બાલા કૃષ્ણને આઠ નવેમ્બરના રોજ મેયરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, ચેરિટેબલ ટ્રસ્ટની ગતિવિધિ કોમર્શિયલ નથી. તો નગર નિગમની નોટિસ બાદ કોગ્રેસ પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીના પૂર્વ પ્રવક્તા બાબા અભય અવસ્થીએ સાબરમતી ટ્રસ્ટ અને સાંસદ પર પણ ટેક્સ લગાવવાની માંગ કરી છે.