નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આજે વિજયાદશમી ઉત્સવ મનાવી રહ્યું છે. નાગપુરમાં યોજાઇ રહેલા કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત સાથે નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ હાજર રહ્યા હતા. કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે અહી પહોંચ્યા છે.

લોકોને સંબોધિત કરતા ભાગવે કહ્યું કે, જો ભારત પંચામૃતના મંત્ર પર આગળ વધે છે તો એકવાર ફરી વિશ્વગુરુ બની શકે છે. એક ભયાનક તોફાન બાબરના રૂપમાં આવ્યું અને તેણે આપણા દેશના હિન્દુ મુસ્લિમોને છોડ્યા નહી. તેના નીચે સમાજને કચડી નાખ્યો. ભાગવતે કહ્યું કે, આપણા દેશમાં રાજનીતિને લઇને અનેક પ્રયોગ થયા. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધાર પર રાજનીતિની કલ્પના કરી. આ નૈતિક બળના કારણે દેશ અંગ્રેજો વિરુદ્ધ એક થયો. અમે કોઇ સાથે દુશ્મની કરતા નથી પરંતુ દુનિયામાં અમારી દુશ્મની કરતા લોકો છે. એટલા માટે તેમના માટે કાંઇ કરવું પડશે.

મોહન ભાગવતે કહ્યું કે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું પરંતુ તેમની હરકતોમાં કોઇ અંતર થયું નથી. આપણે એટલા શક્તિશાળી બનવું પડશે જેથી કોઇ આપણી ઉપર આક્રમણ કરવાની હિંમત ના કરી શકે. તાજેતરના વર્ષોમાં દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આપણે આપણો દેશ સરકારને સોંપ્યો નથી. દેશ આપણો છે. સરકાર બધુ કરતી નથી, તેણે કેટલાક કામોમાં ગતિ વધારવી જોઇએ.

ભાગવતના મતે પશ્વિમ બંગાળથી લઇને હિંદ મહાસાગર સુધી અનેક દ્ધિપ એવા છે જે રણનીતિક રીતે મહત્વના છે. દુનિયામાં એવા અનેક દેશ છે જે ભારતને આગળ વધવા દેતા નથી. કેટલીક શક્તિઓ માલદીવ, શ્રીલંકાને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંઘ પ્રમુખે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં નાની-નાની વાતને લઇને આંદોલન થયા જેને મોટા બનાવી દેવામાં આવ્યા પરંતુ જે ભારતના ટૂકડા થવાના નારા લગાવે છે, જે આતંકીઓ સાથે સંબંધ રાખે છે તેઓ પણ આ આંદોલનમાં દેખાય છે. તેનો રાજકીય લાભ પણ લેવામાં આવી રહ્યો છે. તેની કન્ટેટ પાકિસ્તાન અને ઇટાલીમાં બેસેલા લોકો તરફથી આવે છે. આજકાલ અર્બન માઓવાદીની વાત સામે આવી છે, માઓવાદ હંમેશા અર્બન જ રહ્યો છે. કેટલાક લોકો બંદૂકના દમ પર સત્તા મેળવવા માંગે છે.