નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકને તેલ તેમજ ગેસની કિંમતની જવાબદારી નક્કી કરવાનું કહ્યું છે. ભારતે કહ્યું કે, તેલ અને ગેસ કિંમતોમાં તાજેતરમાં જ આવેલી વૃદ્ધિ બજારના મૂલ્ય સિદ્ધાંતથી અલગ છે અને તેનાથી આયાતકાર દેશોને નુકસાન થઇ રહ્યું છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે.

કાચા તેલની કિંમતો ચાર વર્ષના ઉચ્ચસ્તર પર જવા અને રૂપિયાની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ, ડિઝલ અને રસોઇ ગેસની કિંમતોમાં રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ચૂક્યો છે. સરકારે તાજેતરમાંજ પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હતો પરંતુ તે કિંમતોમાં સતત વધારાને કારણે સમાપ્ત થઇ ગઇ છે. ભારત અને ઓપેક વચ્ચે વાર્ષિક સંસ્થાગત વાર્તામાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આયાત દેશોના દ્રષ્ટિકોણને રાખ્યો હતો. દુનિયામાં કુલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદનમાં ઓપેક દેશોની હિસ્સેદારી 45 ટકા છે.

પ્રધાને કહ્યું કે, ઓપેકના મહાસચિવ મોહમ્મદ સાનુસી બારકિંદોની સાથે ત્રીજી ભારત ઓપેક ઉર્જા વાતચીત દરમિયાન મુલાકાત થઇ હતી. આ બેઠકમાં મે ક્રૂડ ઓઇલની વધતી કિંમતોનો મુદ્દો રાખ્યો હતો જેનાથી ભારત જેવા તેલ આયાત દેશ પ્રભાવિત થઇ રહ્યા છે. અમે તેમને જવાબદારીપૂર્વક કિંમતો નક્કી કરવા કહ્યુ છે જે ઉત્પાદક અને ગ્રાહકો બંન્નેના હિતમાં છે. ભારત પોતાની કુલ પેટ્રોલ અને ડિઝલની જરૂરીતાતના 83 ટકા આયાત કરે છે. જેમાં 85 ટકા ઓપેક દેશોમાંથી આવે છે.