‘નવા બંધારણ’ નામથી વાયરલ PDF પર RSSની સ્પષ્ટતા, કહ્યું- આ નકલી પુસ્તક સંઘને બદનામ કરવાનું કાવતરુ
abpasmita.in | 18 Jan 2020 04:32 PM (IST)
આ વાયરલ PDF ફાઇલમાં મોહન ભાગવત અને સંઘે નવું બંધારણ બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના નામથી ‘નવા બંધારણ’ નામની પીડીએફ બૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ મામલે સ્પષ્ટતા કરી છે. સંઘે કહ્યું કે, મોહન ભાગવતના નામથી બંધારણની એક ફેક પુસ્તક પ્રસારિત કરવામાં આવી રહી છે. આ પુસ્તક અને મોહન ભાગવત સાથે કોઈ લેવાદેવા નથી. સંઘને બદનામ કરવાનું કાવતરું છે. સંઘે આ અંગે ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે. આ PDF ફાઇલમાં મોહન ભાગવત અને સંઘે નવું બંધારણ બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો સાથે જ તેમાં સ્ત્રી ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર મર્યાદિત કરવામાં આવી રહ્યા છે. તો બ્રાહ્મણ સમાજ સિવાય તમામ વર્ગોએ હલકી કક્ષાના ઉલ્લેખવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો જયારે સંઘ સામે આવતા દિનેશ વાળા દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા સંઘ પ્રમુખ મોહન ભાગવતના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અવધ પ્રાંતના સહપ્રચાર પ્રમુખ દિવાકરે આની જાણકારી આપતા કહ્યું કે, મોહન ભાગવતની તસવીર સાથે નવું ભારતીય બંધારણ શીર્ષકવાળી 16 પૃષ્ઠોની બુકલેટ સોશયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. દિવાકરે કહ્યુ છે કે આ સંઘની છબી ખરાબ કરવાનો પ્રયત્ન છે. આની વિરુદ્ધ લખનૌના ગોમતી નગર અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવામાં આવ્યો છે.