નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને હટાવી દીધો છે. છેલ્લાં કેટલાય સમયથી મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશેની માંગણી કરવામાં આવતી હતી અને મંદિર પ્રશાસન દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવતો હતો. તેથી આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓ પણ પ્રવેશ મેળવી શકશે. કોર્ટના નિર્ણયની સાથે 53 વર્ષીય જૂનો કાયદો આજે ગેરબંધારણીય થઈ ગયો છે.


સુપ્રીમ કોર્ટના આ નિર્યણથી સબરીમાલા મંદિરના મુખ્ય પુજારીએ નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુનું કહેવું છે કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાનો સુપ્રીમ કોર્ટનો નિર્મણ નિરાશાજનક છે પરંતુ મંદિર બોર્ડ તેને સ્વીકાર કરશે. ત્રાવણકોર દેવોસ્વોમ બોર્ડના અધ્યક્ષ એ પદ્મકુમારે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું વિસ્તૃત અધ્યયન કરવામાં આવશે અને તેના બાદ કાર્યવાહી વિશે નિર્ણય લેવામાં આવશે.

મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાએ કહ્યું કે, દરેક ભક્તને પૂજા કરવાનો અધિકાર છે. લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય. 10 વર્ષની બાળકીથી લઈને 50 વર્ષની મહિલાને મંદિરમાં જતા રોકવાની પ્રથા બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ભગવાન અય્યપ્પાના દરેક ભક્તો હિન્દુ છે. તે કોઈ અલગ ધાર્મિક સમુદાયના નથી. સબરીમાલા મંદિરમાં પ્રવેશના જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેને અનિવાર્ય ધાર્મિક પ્રથા ન ગણાવી શકાય. સમાજે હવે તેમની વિચારસરણી બદલવાની જરૂરી છે. દરેક સમાજમાં મહિલાઓને સન્માન આપવું જોઈએ.ભગવાન પ્રતિ પૂજા અને શ્રદ્ધામાં ભેદભાવ ન રાખી શકાય.

નોંધનીય છે કે, કેરળના પત્થનમથિટ્ટા જિલ્લામાં આવેલા સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નહતો કારણ કે આ વયની મહિલાઓ માસિક ધર્મમાંથી પસાર થતી હોય છે. આ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. આ મંદિર 700થી 800 વર્ષ જૂનુ છું. અય્યપ્પન સ્વામીને બ્રહ્મચારી માનવામાં આવે છે. આ જ કારણથી મંદિરમાં તે મહિલાઓને પ્રવેશ વર્જિત હોય છે જે રજસ્વલા થઈ શકે છે.