નવી દિલ્હી: દિલ્હીના રાજકારણમાં સતત 15 વર્ષ સુધી રાજ કરનાર કૉંગ્રેસ પાર્ટીને 2015ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ સીટી નહોતી મળી. કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટનું માનવું છે કે દિલ્હીમાં ભાજપને પછાડીને આમ આદમી પાર્ટી બીજી વખત સત્તામાં આવવામાં સફળ રહેશે.


સચિન પાયલટે કહ્યું, 'બધુ જ પૈસાથી ન ખરીદી શકાય. આમ આદમી પાર્ટી 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ થશે. ભાજપની આલોચના કરતા પાયલટે કહ્યું લોકોની તાકાત જ અંતમાં બધુ નક્કી કરે છે. પૈસાથી ચૂંટણી ન જીતી શકો. ઝારખંડમાં ભાજપને જીત નથી મળી. અંતમાં મતદારો જ સરકાર નક્કી કરે છે.'

સચિન પાયલટના આમ આદમી પાર્ટીની જીતના દાવાને કૉંગ્રેસ પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસની હાલત ગત ચૂંટણીમાં એટલી ખરાબ હતી કે પાર્ટી માત્ર 9.7 ટકા જ મત મેળવી શકી અને ત્રીજા નંબર પર રહી હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે દિલ્હીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીનો મત શેરમાં 13 ટકા વધારો થતા 22 ટકા વોટ શેર સાથે બીજા નંબર પર રહી હતી. 2015માં 54 ટકા વોટ શેર મેળવનાર આમ આદમી પાર્ટીને 2019ની લોકસભા ચૂંટણીમાં 18 ટકા મત મળ્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન થશે અને 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે.