નવી દિલ્હી: રાજસ્થાન કૉંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. સચિન પાયલટ અને દિલ્હી હાઈકમાન્ડ વચ્ચે વાચચીત ચાલી રહી છે. સૂત્રોની જાણકારી મુજબ સચિન પાયલટને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે ચાર મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાયલટ જૂથા હશે. જ્યારે સચિન પાયલટને દિલ્હીમાં મહાસચિવ ( CWC)અથવા કાર્યકારી અધ્યક્ષ પદ આપવામાં આવી શકે છે.


કાલથી લઈને આજ સુદી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, કે સી વેણુગોપાલ અને પી ચિદંમ્બરમે સચિન પાયલટ સાથે વાતચીત કરી છે. કૉંગ્રેસ સતત તેમને મનાવવાની કોશિશ કરી રહ્યું છે.

રાજસ્થાનમાં કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક જયપુરમાં મુખ્યમંત્રી નિવાસ પર યોજાઈ હતી. આ બેઠકમાં 109 ધારાસભ્યો પહોંચ્યા હોવાનો દાવો પાર્ટીએ કર્યો છે. 200 સદસ્યની રાજસ્થાન વિધાનસભામાં બહુમતી માટે 101 ધારાસભ્યોની જરૂર હોય છે. બેઠકમાં સરકારને નબળી કરનારા સામે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જેમાં સચિન પાયલટ અથવા અન્ય કોઈ ધારાસભ્યોના નામ નથી. કૉંગ્રેસ ધારાસભ્ય દળે મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કર્યો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

બેઠક ખત્મ થયા બાદ ચાર બસો મુખ્યમંત્રીના નિવાસ બહાર જોવા મળી હતી. આ બસોમાં ધારાસભ્યોને રિસોર્ટ મોકલવામાં આવ્યા છે. આ બેઠકમાં કૉંગ્રેસની સાથે સાથે બીટીપીના બે, માકપા એક, આરએલડીના એક ધારાસભ્ય અને કૉંગ્રેસનું સમર્થન કરી રહેલા અપક્ષ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.