Sanjay Raut Exclusive: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે એબીપી ન્યૂઝના શો પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર સરકાર વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું, "મહારાષ્ટ્ર સરકારમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. સરકારમાં બધુ બરાબર નથી, બસ ચાલી રહી છે. મુખ્યમંત્રી માત્ર ખુરશી પર બેઠા છે, કંઈ થઈ રહ્યું નથી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર થોડા દિવસની મહેમાન છે. થોડા દિવસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે." તેમણે કહ્યું, "અજિત પવારમાં સીએમ બનવાની ક્ષમતા છે."


 




સંજય રાઉતે કહ્યું કે, "મેં જે લખ્યું હતું તે શરદ પવારને ટાંકીને લખ્યું હતું. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક થઈ હતી જેમાં પવાર સાહેબે કહ્યું હતું કે જે રીતે શિવસેનાને તોડવામાં આવી હતી, તેવી જ રીતે NCPને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છું." સંજય રાઉતે કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્રમાં ચૂંટણી થાય. અસલી શિવસેના કોણ છે, બધાને ખબર પડી જશે. જનતા નક્કી કરશે. અમે ચૂંટણી માટે તૈયાર છીએ. શું શિંદે તૈયાર છે?"


CM શિંદેને જવું પડશે


તેમણે કહ્યું, “સરકાર ગમે ત્યારે જઈ શકે છે. થોડા દિવસો માટેની મહેમાન છે. મુખ્યમંત્રી (એકનાથ શિંદે)ને જવું પડશે. મુખ્યમંત્રી નહીં રહે તો સરકાર જશે, નવી સરકાર આવશે. સરકાર કોણ બનાવશે તે તો સમય જ કહેશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. અમને ખાતરી છે કે મુખ્યમંત્રી સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. આવા સમયમાં સરકાર કેવી રીતે ટકી શકશે?


શરદ પવારના નિવેદન પર રાઉતે શું કહ્યું?


શરદ પવારે કહ્યું છે કે જો રોટલી યોગ્ય સમયે ન ફેરવવામાં આવે તો તે કડવી બની જાય છે, જેના પર રાઉતે કહ્યું કે, દેશમાં પણ રોટલી ફેરવવાનો સમય આવી રહ્યો છે, તમે માત્ર મહારાષ્ટ્રની જ કેમ વાત કરો છો. શરદ પવારે સંભવતઃ આ તેમના પક્ષ માટે કહ્યું હતું. આ તેમની પાર્ટીનું સંમેલન હતું. જો તેઓ તેમની પાર્ટીમાં થોડો ફેરફાર કરવા માંગતા હોય તો તે સારી વાત છે. અમે શરદ પવાર સાથે છીએ. દેશ માટે હોય કે મહારાષ્ટ્ર માટે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.