Chief Justice of India: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ જસ્ટિસ સંજીવ ખન્નાને ચીફ જસ્ટિસ (CJI) બનાવવા માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ખન્ના 11 નવેમ્બરથી ચીફ જસ્ટિસ બનશે. તેમનો કાર્યકાળ લગભગ 6 મહિનાનો રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના આવતા વર્ષે 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે.


કેન્દ્ર સરકારે ભલામણ મોકલવા માટે કહ્યું હતુ 
અગાઉ, ગયા શુક્રવારે (11 ઓક્ટોબર 2024), કેન્દ્ર સરકારે CJIને પત્ર લખીને મેમૉરેન્ડમ ઑફ પ્રૉસિજર મુજબ તેમની ભલામણ મોકલવા કહ્યું હતું. જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેઓ વર્ષ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા. તેમણે શરૂઆતમાં તીસ હજારી કૉમ્પ્લેક્સ સ્થિત જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ કરી અને બાદમાં દિલ્હી હાઈકોર્ટ અને ટ્રિબ્યૂનલ્સમાં ગયા હતાં.


કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના ? 
તેમણે લાંબા સમય સુધી આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્થાયી સલાહકાર તરીકે સેવા આપી હતી અને 2004માં તેમને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અધિક સરકારી વકીલ અને એમિકસ ક્યૂરી તરીકે દિલ્હી હાઈકોર્ટમાં ઘણા ફોજદારી કેસોમાં હાજર થયા છે અને દલીલો કરી છે.


2005માં તેમને દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી અને 2006માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમણે દિલ્હી એકેડમી, દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધ્યક્ષ/ઈન્ચાર્જનું પદ પણ સંભાળ્યું છે. જસ્ટિસ સંજીવ ખન્નાને 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્ના એવા જજોમાં સામેલ છે જેઓ કોઈપણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનતા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં ઉન્નતિ પામ્યા હતા.


તેમણે 17 જૂન 2023 થી 25 ડિસેમ્બર 2023 સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું અને હાલમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી, ભોપાલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે.


આ પણ વાંચો


Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર