જમ્મુ કાશ્મીર હાઇકોર્ટનો સંપર્ક કરવામાં મુશ્કેલી આવતી હોવાનો દાવો ખોટોઃ સુપ્રીમ કોર્ટ
abpasmita.in | 20 Sep 2019 06:35 PM (IST)
વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ 16 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સામે દાવો કર્યો હતો કે ઘાટીના લોકો ત્યાં કાશ્મીર હાઇકોર્ટનો સંપર્ક સાધી શકતા નથી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, તેને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ મળ્યો છે જે જમ્મુ કાશ્મીરના લોકોને હાઇકોર્ટનો સંપર્ક કરવામાં અસમર્થ હોવાના દાવાનું સમર્થન કરતી નથી. વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ 16 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સામે દાવો કર્યો હતો કે ઘાટીના લોકો ત્યાં કાશ્મીર હાઇકોર્ટનો સંપર્ક સાધી શકતા નથી. હુજેફાએ આ દાવો કાશ્મીરમાં બાળકોને કથિત રીતે અટકાયતમાં રાખવાનો આરોપ લગાવનાર બાળ અધિકાર કાર્યકર્તા ઇનાક્ષી ગાંગુલી અને શાંતા સિન્હા તરફથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી સુપ્રીમ કોર્ટની બેન્ચે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ અહમદીને કોર્ટે કહ્યું કે, અમને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રિપોર્ટ મળ્યો છે જે તમારા નિવેદનનું સમર્થન નથી કરી રહ્યો. તેમને આ સંબંધમાં કેટલાક પરસ્પર રિપોર્ટ મળ્યા છે પરંતુ તે આ સમયે તેના પર કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે કાશ્મીરમાં બાળકોને કથિત રીતે અટકાયતમાં રાખવાના મુદ્દા સંબંધિત અરજી પર સુનાવણી કરશે કારણ કે અરજીમાં સગીરા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવવામાં આવ્યા છે. આ બેન્ચે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની કિશોર ન્યાય સમિતિને નિર્દેશ આપ્યા છે કે તે અરજીમાં ઉઠાવેલા મુદ્દા પર એક સપ્તાહની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરે.