નવી દિલ્હીઃ મુલાયમ સિંહ યાદવની આવક કરતા વધુ સંપત્તિ મામલામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટિસ આપી છે. કોર્ટે બે સપ્તાહમાં સીબીઆઇ પાસે જવાબ માંગ્યો છે. વાસ્તવમાં આ મામલાના મૂળ અરજીકર્તા વિશ્વનાથ ચતુર્વેદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વિશ્વનાથ ચતુર્વેદીએ પોતાની અરજીમાં માંગણી કરી હતી કે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં 2007 અને 2012ના આદેશ હેઠળ શું કાર્યવાહી કરી છે. આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટ અથવા નીચલી કોર્ટમાં દાખલ કરે. 2012માં આ મામલામાં મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને પ્રતિક યાદવની પુનઃવિચાર અરજી કોર્ટે ફગાવી દીધી હતી.


મુલાયમસિંહ યાદવ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં આ મામલાની સુનાવણી કરવામાં ના આવે પરંતુ તેમ છતાં કોર્ટે સીબીઆઇને નોટિસ પાઠવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તપાસ પુરી થઇ ગઇ છે અને પ્રથમ નજરમાં જાણવા મળ્યું છે કે યાદવ પરિવાર વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ બને છે. આ તપાસને છ વર્ષ વિતી ગયા છતાં સીબીઆઇએ હજુ સુધી કોર્ટમાં કોઇ રિપોર્ટ રજૂ કર્યો નથી. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2007માં ચતુર્વેદીની જનહિત અરજી પર સીબીઆઇને મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ અને ભાઇ પ્રતિક યાદવની સંપત્તિઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, 2012માં સુપ્રીમ કોર્ટે ડિમ્પલને એમ કહીને કેસની બહાર કરી દીધા હતા કે તે કોઇ સાર્વજનિક પદ પર નથી.