નવી દિલ્હી: આલોક વર્માને સીબીઆઈના વડાના પદ પરથી હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી 24 જાન્યુઆરીએ બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક પર નિર્ણય લેવાશે.


સિલેક્શન પેનલની બેઠકમાં ચીફ જસ્ટિસ અને લોકસભાના નેતા વિપક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ ઉપસ્થિત રહેશે. જે બે વર્ષ માટે નક્કી કરેલા કાર્યકાળ માટે સીબીઆઈ ચીફના પદ માટે અંતિમ નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે ઓલોક વર્માને હટાવ્યા બાદ એમ નાગેશ્વર રાવને વચગાળાના સીબીઆઈ ચીફ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમની નિયુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. એક એનજીઓની અરજી પર સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયે સુનાવણી કરશે. સીજેઆઈ રંજન ગોગોઇ, જસ્ટિસ એનએલ રાવ અને જસ્ટિસ એસકે કૌલની પીઠ સામે બુધવારે આ મામલાને રાખવામાં આવ્યો હતો.