પટણાઃ બિહારના બાહુબલી નેતા તરીકે જાણીતા આરજેડીના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન હવે જેલની બહાર આવી ગયો છે. હત્યા, લૂંટ, કિડનેપિંગ માટે કુખ્યાત રહેલા શહાબુદ્દીનને પટણા હાઇકોર્ટના આદેશ બાદ જામીન મળી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સવારે આઠ વાગ્યે 1300 ગાડીઓના કાફલા સાથે બિહારનો આ કુખ્યાત ડોન ભાગલપુરથી સીવાન જશે.

બીજેપીએ કહ્યું કે, જંગલ રાજના પ્રતીક રહેલો શહાબુદ્દીનના જેલની બહાર આવવાથી લોકો શોકમાં છે. સુશીલ મોદીએ કહ્યું કે, લાલુના દબાણમાં નીતિશ કુમારે કેસ કમજોર કરી દીધો હતો. થોડા દિવસો અગાઉ પત્રકાર રાજદેવ રંજનની હત્યાના આરોપોમાં શહાબુદ્દીનની સંડોવણીના આરોપો બાદ તેને સીવાનથી ભાગલપુર જેલમાં શિફ્ટ કરાયો હતો. હત્યાના કેસમાં સજા કાપી રહેલા આ નેતા સીવાનમાં બે ભાઇઓની હત્યાના સાક્ષી રહેલા ત્રીજા ભાઇ પર એસિડ એટેક કરવાનો આરોપ છે. નોંધનીય છે કે શહાબુદ્દીન પ્રથમવાર 1990માં અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્ય બન્યો હતો. બાદમાં 1996થી 2009 સુધી લાલુની પાર્ટી આરજેડીમાંથી સાંસદ રહ્યો હતો.