નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી પોલીસને આતંકી ગણાવી છે. તેમણે કહ્યુ કે, દિલ્હીમાં લો એન્ડ ઓર્ડર કેન્દ્ર સરકાર હેઠળ આવે છે અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ બંન્ને સ્થળો પર સ્થિતિ બેકાબૂ છે. ત્યાં રમખાણો થઇ રહ્યા છે. દિલ્હી પોલીસને આતંકી ગણાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કેટલાક આતંકી જામિયા યુનિવર્સિટીમાં ઘૂસી જાય છે પરંતુ તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ નથી. હા હું તેમને (દિલ્હી પોલીસ) આતંકી કહીશ. ઠાકરેનું આ વિવાદીત નિવેદન 15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં દિલ્હી પોલીસની કાર્યવાહીને લઇને સામે આવ્યુ છે.




તાજેતરમાં જ જામિયા મિલિયા ઇસ્લામિયામાં દિલ્હી પોલીસની કાર્યવાહીના અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દિલ્હી પોલીસ લાઇબ્રેરીની અંદર ઘૂસીને વિદ્યાર્થીઓને મારતી જોવા મળી રહી છે. જોકે, દિલ્હી પોલીસે શરૂઆતમાં લાઇબ્રેરીની અંદર ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ જ્યારે ફૂટેજ સામે આવ્યા બાદ તેમણે તપાસ કરવાની વાત કરી હતી.