નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલ 14 અરજીઓ પર સુનાવણી કરી. તેમાં આર્ટિકલ 370 હટાવવા ઉપરાંત ખીણમાં પ્રેસ ફ્રીડમની સાતે સાથે નેતાઓના પ્રવાસને લઈને પણ અરજી સામેલ હતી. સુપ્રીમ કોર્ટે ભારીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતા સીતારામ યેચુરીને શ્રીનગર જવાની મંજૂરી આપી છે. સીતારામ યેચુરીએ પોતાની પાર્ટીના ધારાસભ્ય એમવાઈ તરિગામીને મળવાની મંજૂરી માગી હતી. જોકે, સોલિસિટર જનરલે તુષાર મેહતાએ તેનો વિરોધ કર્યો છે.


ચીફ જસ્ટિસે યેચુરીને ચેતવણી આપી હતી કે તમે માત્ર તમારા દોસ્તને મળવા જાઓ છો. ત્યાં પોલિટિક્સ રમતા નહીં. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને સવાલ પૂછ્યો હતો કે સરકાર યેચુરીને કેમ રોકી રહી હતી ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે આ મુલાકાત પોલિટિકલ હતી એટલે અમે એમને રોક્યા હતા.

દરમિયાન, જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ધરાવતી 370 મી કલમ રદ કરવા અંગેના કેન્દ્રના પગલાને પડકારતી અરજીના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. આ મુદ્દે હવે પછીની સુનાવણી ઓક્ટોબરમાં થશે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

જણાવી દઇએ કે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના મહાસચિવ સીતારામ યેચુરી અને ભાકપાના ડી રાજા પહેલા જ્યારે જમ્મુ કાશ્મીર ગયાં હતાં તેમને એરપોર્ટ પરથી હિરાસતમાં લેવામાં આવ્યાં હતા. આ જાણકારી સીપીઆઇએમે ટ્વિટ કરીને આપી હતી.