નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગુરુવારે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ભવિષ્યની તમામ ચૂંટણીઓમાં સ્વૈચ્છિક આચાર સંહિતાનું પાલન કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે, તે આગામી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેનું પાલન કરશે.


પેઇડ જાહેરાતો વિરુદ્ધ આ સંહિતા બનાવવામાં આવી હતી અને છેલ્લી  લોકસભા ચૂંટણીમાં 20 માર્ચના રોજ તેને લાગુ કરવામાં આવી હતી. પેઇડ જાહેરાતો ચૂંટણી પંચ તરફથી નક્કી કરેલા નિયમોનો ભંગ કરે છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું કે, ઇન્ટરનેટ અને મોબાઇલ અસોસિયેશન ઓફ ઇન્ડિયા પોતાના સભ્યો તરફથી ભવિષ્યની તમામ ચૂંટણીઓમાં સ્વૈચ્છિક આચાર સંહિતાનું પાલન કરવા પર સહમત થયા છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણી દરમિયાન તે સંહિતાનું પાલન કરશે.

છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણી પંચ તરફથી રિપોર્ટમાં કહેવામાં આવેલા 909 ભંગ મામલામાં કાર્યવાહી કરી હતી. સંહિતા અનુસાર ચૂંટણી ખત્મ થાય તેના 48 કલાક અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ રાજકીય પ્રચાર થશે નહીં.