Sonam Wangchuk letter to government: હાલમાં હોસ્પિટલમાં દાખલ જાણીતા શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે હવે પોતાના ઉપવાસ સમેટવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેમણે આ માટે સરકાર સમક્ષ કેટલીક નક્કર શરતો મૂકી છે. હોસ્પિટલના બિછાનેથી જ સરકારને એક પત્ર લખીને તેમણે પેપર લીક કાંડ બાદ હતાશ થઈને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર, સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની પોતાની મોટી માંગણીઓ ફરીથી દોહરાવી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કોઈ જ કાનૂની કે દંડાત્મક કાર્યવાહી ન કરવાની ખાતરી આપે, તો જ તેઓ પોતાના પારણાં (ઉપવાસના અંત) કરશે.

Continues below advertisement

મંત્રીઓની મુલાકાત અને સરકારનું આશ્વાસન

પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં રૂબરૂ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બદલ તેમણે બંને નેતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. વાંગચુકે પત્રમાં લખ્યું છે કે, "આપણી ચર્ચા દરમિયાન, તમે મને ખાતરી આપી હતી કે સરકાર કેટલાક મહત્વના મુદ્દાઓ પર સકારાત્મક રીતે વિચાર કરશે. આમાં પેપર લીકનો ભોગ બનીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું આર્થિક વળતર આપવું, જવાબદારી નક્કી કરવા માટે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા કરવી અને માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર વિચાર કરવા સહિતની બાબતો સામેલ છે."

Continues below advertisement

20 જુલાઈની 'ચલો સંસદ' કૂચ શાંતિપૂર્ણ રહી

તાજેતરના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા વાંગચુકે જણાવ્યું હતું કે, "પોલીસના અતિરેક અને બળપ્રયોગ છતાં પણ 20 જુલાઈના રોજ યોજાયેલી 'ચલો સંસદ' કૂચ એકદમ શાંતિપૂર્ણ રહી હતી. સમગ્ર દેશ અને દુનિયાએ જોયું છે કે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આપણા યુવાનોએ કેટલી ધીરજ અને મક્કમતા બતાવી છે. મને પૂરી આશા છે કે આ ચળવળમાં સામેલ લોકો સામે કોઈપણ કાનૂની કાર્યવાહી, હેરાનગતિ કે બદલાની કાર્યવાહી કરવામાં નહીં આવે, જેથી લોકશાહી સંસ્થાઓ પરથી તેમનો વિશ્વાસ વધુ નબળો ન પડે."

આ પણ વાંચોઃ દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'

65 સાંસદોની અપીલ: "હું જીવવા માંગુ છું, પણ યુવાનોના ભોગે નહીં"

વાંગચુકે પત્રમાં ભાવુક થતા આગળ લખ્યું કે, "તમારી મુલાકાત બાદ, વિવિધ રાજકીય પક્ષોના આશરે 65 જેટલા સાંસદોએ પણ મને પત્ર લખ્યો છે. તેમાંથી કેટલાક તો રૂબરૂ મળવા આવી પણ ચૂક્યા છે, અને બાકીના લોકો આજે સાંજ સુધીમાં આવવાની અપેક્ષા છે. આ તમામ લોકોએ મને મારા ઉપવાસ સમાપ્ત કરવા માટે અપીલ કરી છે અને યાદ અપાવ્યું છે કે મારે રાષ્ટ્રની સેવામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હું તેમની વાત સાથે સંમત છું. હું જીવવા માંગુ છું. હું મારા વિદ્યાર્થીઓ, શિક્ષણ અને મારા જીવનને સાર્થક બનાવનાર કામો તરફ પાછા ફરવા માંગુ છું. પરંતુ, જે યુવાનો માટે આ આખી ચળવળ શરૂ થઈ હતી, તેમના ભોગે હું આવું ન કરી શકું."

આ પણ વાંચોઃ દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા

યુવાનો સામે કોઈ કાર્યવાહી ન થાય તે જ મુખ્ય શરત

અંતમાં, સોનમ વાંગચુકે સરકારને સીધી અપીલ કરતા જણાવ્યું હતું કે સરકાર એવી પાકી ખાતરી આપે કે આ આંદોલનમાં ભાગ લેનારા કોઈપણ યુવાન વિરોધીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ યુવાનોનો એકમાત્ર ગુનો એટલો જ છે કે તેમણે એક જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું, "જો આવી ખાતરી આપવામાં આવે, તો હું એવા વિશ્વાસ સાથે મારા ઉપવાસનો અંત લાવીશ કે સરકારે માત્ર મારી અપીલ જ નથી સાંભળી, પરંતુ દેશના લાખો યુવા ભારતીયોની આકાંક્ષાઓને પણ સમજી છે."