નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચીન મામલે મોદી સરકાર પર હુમલો કર્યો છે. બેઠકમાં ચીની અતિક્રમણના દાવાનો આગળ ધરીને કહ્યું કે, કેન્દ્ર સરકારની કુપ્રબંધન અને ખોટી નીતિઓના કારણે દેશની સુરક્ષા અને સંપ્રભૂતા ખતરામાં આવી ગઇ છે.


સોનિયા ગાંધીએ કહ્યું કે એપ્રિલથી અત્યાર સુધી ચીનને લદ્દાખમાં ગલવાન ઘાટી અને પેગોંગ તળાવના ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે, પણ મોદી સરકાર સચ્ચાઇ છુપાવી રહી છે. લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીને નકારનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોને લઇને સોનિયા ગાંધીએ કહ્યું કે, આવા નિવેદનોએ આખા દેશને ઝકઝોરી દીધા છે. લોકોને લાગે છે કે મોદી સરકાર સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ ચીન સીમા વિવાદ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે, ચીન સાથે એલએસી પર હવે આપણી પાસે એક મોટા સંકટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. ચીની સેનાએ ગલવાન ઘાટી અને પેગોંગ લેક સુધી ઘૂસણખોરી કરી દીધી છે. અને સરકાર આ બધી સચ્ચાઇ છુપાવી રહી છે.



સોનિયા ગાંધીએ કહ્યું ઘૂસણખોરીના સમાચાર પાંચમી મેએ આવ્યા, બાદમાં સ્થિતિ બગડી, અને 15-16 જૂને હિંસક અથડામણ થઇ. 20 ભારતીય સૈનિકો શહીદ થયા. 85 ઘાયલ થયા અને 10 લાપતા થયા. છતાં વડાપ્રધાન કહી રહ્યા છે કે લદ્દાખમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી નથી થઇ.