નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા પર હંગામાં વચ્ચે આજે નવી દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી દળોની બેઠક મળી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે નાગરિક સંશોધિત કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પર દેશને ગેરમાર્ગે દોર્યો છે.


કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, સરકારે દમન ચક્ર ચલાવી રાખ્યું છે, ઘૃણા ફેલાવી રાખી છે અને લોકોને સમુદાયના આધારે વહેંચી રહી છે. તેમણે કહ્યું કે, બંધારણને કમજોર કરવામાં આવી રહ્યું છે, સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. બંધારણને બાજુમાં રાખીને ઉથલ-પુથલ કરવામાં આવી રહી છે.

સોનિયા ગાંધીએ દાવો કર્યો કે આસામમાં એનઆરસી ઉલટી પડી ગઇ. મોદી-શાહ સરકાર હવે એનપીઆરની પ્રક્રિયા શરૂ કરવામાં લાગી છે. એ સ્પષ્ટ છે કે, એનપીઆરને આખા દેશમાં એનઆરસી લાગૂ કરવા માટે કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં 20 પાર્ટીઓના નેતા સામેલ થયા. આ બેઠકમાં સીએએના વિરોધમાં થયેલા પ્રદર્શનો અને ઘણા યુનિવર્સિટીમાં હિંસા બાદની સ્થિતિ, આર્થિક મંદી તથા ઘણા અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, NCPના પ્રમુખ શરદ પવાર, અહમદ પટેલ, એ કે એન્ટની, સીતા રામ યેચુરી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.