નવી દિલ્હી: કોરોના વાયરસના કહેરના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં ઘણા રાજ્યોના મજૂરો ફસાયા છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખી લોકડાઉનમાં ફસાયેલા ગરીબ લોકોની મદદ કરવાની અપીલ કરી છે.


કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને અપીલ કરી હતી કે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે વિવિધ સ્થળોએ રસ્તામાં ફસાયેલા મજૂરો અને ગરીબ લોકોને મદદ કરવા રાષ્ટ્રીય કક્ષાની એડવાઇઝરી જારી કરવામાં આવે. તેમણે આવા લોકો માટે રાજ્ય પરિવહન સેવા ઉપલબ્ધ કરવા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને વિનંતી કરી હતી.



સોનિયા ગાંધીએ પત્રમાં જણાવ્યું છે કે લાખો કામદારો અધવચ્ચે ફસાયેલા છે અને તેઓને પગપાળા ઘરે જવાની ફરજ પડે છે. ઘણા લોકો ગેસ્ટ હાઉસ અને હોટલોમાં છે જેની પાસે પૈસા પણ નથી. આવા લોકો માટે પરિવહન સેવા પૂરી પાડવી જોઈએ.

સોનિયા ગાંધીએ લખ્યું છે કે જિલ્લા કલેકટરે આવા લોકોને મદદ કરવી જોઈએ. તેઓએ મજૂરોને ખાવા પીવાની વ્યવસ્થા કરવી જોઈએ અને જે લોકો હોટલ અને ગેસ્ટ હાઉસનો ખર્ચ વહન ન કરી શકે તેવા લોકોની મદદ કરવી જોઈએ.

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 885 થઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં 17 લોકોના મોત થયા છે અને 74 દર્દીઓ સાજા થયા છે. હાલ 792 એક્ટિવ દર્દીઓ છે.