Sri Ram Janmabhoomi Temple: આજે દેશને નવું સંસદ ભવન મળી ગયુ, પીએમ નરેન્દ્ર મોદીએ આજે વૈદિક વિધિ વિધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી દીધુ છે. સંસદના નવનિર્મિત ઈમારતના ઉદઘાટન બાદ હવે વારો છે રામ મંદિરનો. અયોધ્યામાં જે ઝડપે મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે બહુ જલદી રામ મંદિર બનીને તૈયાર થઇ જશે. અયોધ્યામાં રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લૉર તૈયાર છે. બાંધકામ સ્થળની તાજા તસવીરો પરથી આ વાત જાણી શકાય છે.


અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટની તાજી તસવીરો સામે આવી છે, જેમાં રામ મંદિરનું ભોંયતળિયું લગભગ બનીને તૈયાર થઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શેર કરી છે, જેઓ શ્રી રામ મંદિરનું નિર્માણ કરાવી રહી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધીમાં ભક્તો માટે ખોલવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.




30 ડિસેમ્બર સુધી પહેલો તબક્કો - 
અગાઉ 22 મેના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મિશ્રાએ કહ્યું કે - મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ ભક્તો મંદિરના દર્શન કરી શકશે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં અન્ય કામો ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લૉર પર પાંચ મંડપ બનાવવામાં આવશે.


સંસદના નવા ભવનનું ઉદઘાટન - 
જે દિવસે રામ મંદિર નિર્માણ સ્થળની તાજેતરની તસવીરો સામે આવી છે, એ જ રવિવારે (28 મે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવનિર્મિત ઇમારતનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, તેઓ 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. વડાપ્રધાને કહ્યું કે દેશની વિકાસયાત્રાની કેટલીક ક્ષણો અમર બની જાય છે અને આજનો દિવસ એવો જ એક દિવસ છે.