નવી દિલ્હીઃ અયોધ્યા મુદ્દા પર સુપ્રીમ કોર્ટની 40મા દિવસની સુનાવણી પૂર્ણ થયા અગાઉ અયોધ્યા મધ્યસ્થતા પેનલને પોતાનો ફાઇનલ રિપોર્ટ પાંચ જજોની બેન્ચને સોંપ્યો હતો. એક ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર આ રિપોર્ટમાં સમાધાનને લઇને મહત્વની બાબતોનો ઉલ્લેખ હતો. સમાધાનનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ દ્ધારા રાખવામાં આવ્યો હતો પરંતુ આ પ્રસ્તાવમાં સરકાર આગળ ત્રણ એવી શરતો રાખવામાં આવી છે જેનાથી દેશના અન્ય મુસ્લિમોને આ સમાધાન પર વાંધો ના હોય.


વક્ફ બોર્ડની આ શરતો આ અનુસાર છે. ઉત્તર પ્રદેશ સરકાર અવસ્થામાં પડેલી 22 મસ્જિદોના પુનનિર્માણ કરાવે. 1991ના ધાર્મિક ઉપાસના અધિનિયમને કડક હાથે લાગુ કરવામાં આવે અને મુસલમાનોને કેન્દ્ર સરકારના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ તમામ મસ્જિદોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બુધવારે કોર્ટે અયોધ્યા વિવાદ પર નિર્ણય અનામત રાખ્યો છે અને કહ્યું કે, અરજીઓમાં ફેરફાર પર પક્ષકારોને લેખિતમાં ત્રણ દિવસમા જવાબ માંગ્યો છે. આ નિર્ણય 17 નવેમ્બર અગાઉ આવશે કારણ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 17 નવેમ્બરના રોજ નિવૃત થઇ રહ્યા છે. સુનાવણી પૂર્ણ થયા બાદ હાઇવેથી લઇને સરયૂ નદીના પુલ અને શહેરના આંતરિક માર્ગોથી લઇને રામકોટ  સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.