પઠાણકોટઃ લોકસભા ચૂંટણીમાં સની દેઓલે ગુરુદાસપુર બેઠક તો જીતી હવે આ મતવિસ્તારમાં તેમનો જ વિરોધ થઇ રહ્યો છે. પઠાણકોટમાં લોકો સની દેઓલને શોધી રહ્યાં છે, અને રેલવે સ્ટેશનથી માંડી દરેક જગ્યાએ 'લાપતા' થયાના પૉસ્ટરો લાગ્યા છે. આવુ એટલા માટે થયુ કેમકે ચૂંટણી જીત્યા બાદ સની દેઓલે અહીંની જનતાને મોં પણ નથી બતાવ્યુ. સની દેઓલ અહીંથી બીજેપીના મેન્ડેટ પરથી ચૂંટણી જીત્યો છે.


અભિનેતામાંથી નેતા બનેલા અને બીજેપીની ટિકીટ પરથી ચૂંટણી લડીને લોકસભામાં પહોંચેલા સની દેઓલ પર લોકોનો ગુસ્સો દેખાઇ રહ્યો છે. અહીં પઠાણકોટ રેલવે સ્ટેશન પર સની દેઓલ 'લાપતા' થયો હોવાના પૉસ્ટરો લઇને તેને શોધી રહ્યાં છે.

લોકોનુ કહેવુ છે કે, સની દેઓલ મુંબઇમાં રહે છે, અને ગુરુદાસપુર બેઠક પરથી જીત્યા બાદ અહીં આવ્યો નથી. અહીં વિકાસ કાર્યો, અન્ય પ્રૉજેક્ટો, તેમજ સ્થાનિકોના કામો અટકી પડ્યા છે. લોકો સની દેઓલને ચૂંટણી જીતાડીને પોતાની જાતને છેતરાયો હોવાનુ માની રહ્યાં છે.



નોંધનીય છે કે, 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં સની દેઓલ ગુરુદાસપુર બેઠક પરથી બીજેપીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. લોકોએ તેમને પ્રદેશના વિકાસ કાર્યો માટે પસંદ કર્યો પણ કામ ન થતા લોકોના નારાજગી હવે પ્રદેશમાં દેખાઇ રહી છે.