ED Director News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાએ 31 જુલાઈ સુધીમાં તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. તેમની મુદત લંબાવવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, અમે 2021માં જ આદેશ આપ્યો હતો કે મિશ્રાનો કાર્યકાળ આગળ વધારવામાં ન આવે. તેમ છતાં કાયદો લાવીને તેમના કાર્યકાળને લંબાવવામાં આવ્યો. તેમનો કાર્યકાળ વધારવાનો આદેશ આ અર્થમાં ગેરકાયદેસર હતો. તેઓ 31 જુલાઈ સુધી પદ પર રહી શકે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે નવા ડિરેક્ટરની પસંદગી કરવી પડશે.


2021નો નિર્ણય


2018માં EDના ડાયરેક્ટર બનેલા સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 2020માં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. NGO કોમન કોઝે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 8 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મિશ્રાનો વિસ્તૃત કાર્યકાળ 18 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી તેમાં દખલ કરવામાં આવશે નહીં, પરંતુ તેમનો કાર્યકાળ વધુ લંબાવવો જોઈએ નહીં.


સરકાર લાવી નવો કાયદો 


સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવીને કેન્દ્ર સરકારે 14 નવેમ્બર 2021 ના ​​રોજ એક વટહુકમ લાવ્યો. આ અંતર્ગત ED ડિરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી લંબાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના આધારે મિશ્રાને ફરીથી 1 વર્ષની મુદત આપવામાં આવી હતી.


નવેમ્બર 2022માં આ સમયગાળો પૂર્ણ થવા પર તેમને વધુ એક વર્ષનું સેવા વિસ્તરણ આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ વર્ષે 18 નવેમ્બરના રોજ તેઓ પદ પર રહીને 5 વર્ષ પૂર્ણ કરી રહ્યા હતા. જો કે હવે કોર્ટના આદેશ બાદ તેમણે 31 જુલાઈના રોજ પોતાના પદ પરથી હટી જવું પડશે.


કેન્દ્રના નિર્ણયને પડકારવામાં આવ્યો


કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક અરજદારોએ કાયદાને મનસ્વી ગણાવતી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે સૌથી પહેલા મનસ્વી સત્તાને લઈને વટહુકમ પસાર કર્યો હતો. બાદમાં ચર્ચા અને મતદાન વિના સંસદમાં આ અંગે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. બદલાયેલા કાયદા હેઠળ આદેશ જારી કરી સુપ્રીમ કોર્ટના આદેશને પણ પલટી નાખ્યો હતો.


સુપ્રીમ કોર્ટનો નિર્ણય


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેન્ચે સીબીઆઈ સંબંધિત દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને ઈડી સંબંધિત સીવીસી એક્ટમાં થયેલા ફેરફારોને સમર્થન આપ્યું હતું. ન્યાયાધીશોએ કહ્યું હતું કે, આ ફેરફાર બંધારણીય રીતે કરવામાં આવ્યો છે પરંતુ વર્તમાન ED ડાયરેક્ટરની સેવાના વિસ્તરણને યોગ્ય ઠેરવી શકાય નહીં.


ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે, સીબીઆઈ અને ઈડી ડાયરેક્ટરની નિમણૂક એક સમિતિ દ્વારા કરવામાં આવે છે. તેમને સેવામાં વધારો આપવાનો નિર્ણય આપતી વખતે આ જ પ્રક્રિયાને અનુસરવી જોઈએ.


https://t.me/abpasmitaofficial