નવી દિલ્હીઃ અયોધ્યા મામલે આજે 26માં દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો, કહ્યું કે, 18 ઓક્ટોબર સુધી બધા પક્ષો પોતપોતાની દલીલી-પુછપરછ પુરી કરો, જરૂર પડશે તો શનિવારે પણ સુનાવણી કરીશુ. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે, હવે અયોધ્યા વિવાદ મામલે બહુ જલ્દી ફેંસલો આવી શકે છે.


ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસને સાંભળી રહેલી પાંચ જજોની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ 17 નવેમ્બરે રિટાયર થવાના છે. આજે મધ્યસ્થતા પેનલ તરફથી મોકલેલી માહિતી પર કોર્ટે કહ્યું કે, સુનાવણી ઘણી આગળ આવી ચૂકી છે, આની રોકી નથી શકાતી. કોઇ પણ જો મધ્યસ્થતા દ્વારા ઉકેલ લાવવાની કોશિશ કરે છે તો આમ કરી શકે છે, પણ આને ગોપનીય રાખવામાં આવશે.



ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની આગેવાની વાળી પાંચ જજોની બંધારણીય પીઠે કહ્યું કે, તેને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ એફ એમ આઇ કલીફૂલ્લાનો પત્ર મળ્યો છે.



સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડે કહ્યું કે, તે આગામી અઠવાડિયાના અંત સુધી ચર્ચા પુરી કરી લેશે. રામલલા પક્ષ 2 દિવસમાં જવાબ આપશે. નિર્મોહી અખાડાએ જવાબનો સમય નથી બતાવ્યો. તેમની વાતોનો સુન્ની વક્ફ બોર્ડ ફરીથી એકથી દોઢ દિવસ જવાબ આપશે.