નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા પર હાલમાં સ્ટે મુકવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સાથે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને તમામ કેસને લઇ કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. અરજીકર્તાઓએ તર્ક આપ્યો હતો કે, આ કાયદો બંધારણની કલમ 14, 21, 25નું ઉલ્લંઘન કરે છે. તેની સાથે જ ભારતની મૂળ ભાવનાનું પણ ઉલ્લંઘન કરે છે.


નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધમાં અત્યાર સુધી 59 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. આ અરજીઓ પર આજે ચીફ જસ્ટિસ એસએસ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે સુનાવણી કરી હતી. આ મામલે હવે આગામી સુનાવણી 22 જાન્યુઆરી થશે.


સીએએ વિરુધ્ધ અરજીકર્તાઓમાં કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, અસરુદ્દીન ઓવૈસી, ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, આરજેટી નેતા મનોજ ઝા, જમીયત ઉલેમા એ હિંદ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સામેલ છે. મોટાભાગની અરજીઓમાં ધર્મના આધાર પર શર્ણાર્થીઓને નાગરિકતા આપનારા આ કાયદાને સંવિધાન વિરુદ્ધ ગણાવ્યો છે.


સુનવણી દરમિયાન એટોર્ની જનરલે કહ્યું કે એકટ પર સ્ટે મુકવા માટે જે દલીલ કરાઇ છે ત્યાં એકટને ચેલેન્જ કરવા સમાન છે. એવામાં એકટ પર કોઇપણ પ્રકારનો સ્ટે લગાવામાં ના આવે.

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે એ કહ્યું કે અમે તેના પર સ્ટે મૂકી શકીએ નહીં. વકીલે આ દરમ્યાન કહ્યું કે અસમ સળગી રહ્યું છે, અત્યારે આ એકટ પર સ્ટેની જરૂર છે. જો કે ચીફ જસ્ટિસે આ સુનવણીને તરત કરવાની ના પાડી દીધી.