નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વેક્સિનના બંને ડોઝ લેવાના ફરજિયાતપણાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, સાર્વજનિક સ્વાસ્થ્યની તુલનામાં જીવન અધિકારને અગ્રતા મળે છે કે નહીં તે આપણે જોવું પડશે. જેને લઈ કેન્દ્ર સરકારને તેમનો પક્ષ રાખવા કહ્યું છે. મામલાની આગામી સુનાવણી 4 સપ્તાહ બાદ થશે.


સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ક્લિનિકલ ટ્રાયલના પરિણામોની સાથે જ વેક્સિનેશન બાદ જે ટ્રાયલ કરવામાં આવી છે તેના પરિણામો પણ જાહેર થવા જોઈએ. આ અરજી પીડિયાટ્રિક ડોક્ટર જૈકબ પુલિયાલ તરફથી કરવામાં આવી છે. કોર્ટે જણાવ્યું કે, અરજીકર્તા ડોક્ટર કેન્દ્ર સરકારને સલાહ આપવા જે ટીમ બનાવી હતી તેના સભ્ય રહ્યા છે.


સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, અમે તમારી અરજી પર વિચારણા કરી રહ્યા છીએ પણ રસીકરણને લઈ લોકોના મનમાં ભ્રમ પેદા નથી કરવા માંગતા. કારણકે રસીકરણને લઈ પહેલાથી જ સમસ્યા પેદા થઈ રહી છે. કોર્ટે ટિપ્પણી કરતાં પૂછ્યું કે દેશમાં પહેલા જ 50 કરોડથી વધારે લોકો વેક્સિન લઈ ચુક્યા છે તમારી અરજી લોકોના મનમાં શંકા પેદા નહીં કરે. વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું, લોકોને ટ્રાયલની સમગ્ર જાણકારી આપ્યા વગર જ આટલા મોટા પાયે રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આ રહ્યો હોય તેવું વિશ્વમાં પ્રથમવખત બની રહ્યું છે.




ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે.  સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35,499 નવા કેસ નોંધાયા હતા અને 39,686 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે 447 લોકોના મોત થયા હતા. આ પહેલાના બે દિવસમાં 1108 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ 97.40 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 52 કરોડ 40 લાખ 60 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.