નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપને આધાર સાથે લિંક કરવા મામલા પર કેન્દ્ર સરકાર પાસે જવાબ આપ્યો છે. સાથે કહ્યું કે, આ મામલા પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવવો જોઇએ. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો કેન્દ્ર સરકાર આ મામલા પર કોઇ નિર્ણય લઇ રહી નથી તો અમારે જ કાંઇક કરવું પડશે. કોર્ટે કહ્યું કે, સરકાર આ મામલામાં જલદી જવાબ આપે.


સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યુ હતું કે, શું સોશિયલ મીડિયાને લઇને કોઇ પણ પ્રકારનો કાયદો કે નિયમ બનાવવામાં આવી રહ્યો છે. જેના પર મહેતાએ કહ્યું કે, તે 24 સપ્ટેમ્બર સુધી આ મુદ્દા પર કેન્દ્ર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરી દેશે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ અંગે કોઇ કાયદો કે નિયમ છે તો અમે તેના આધાર પર પોતાનો નિર્ણય આપીશું. નોંધનીય છે કે ફેસબુકે સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાના વિરોધ કરતા કહ્યુ હતું કે, તેનાથી યુઝર્સની પ્રાઇવેસીનો ભંગ થઇ શકે છે.

ખંડપીઠે કહ્યું કે, તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ અને આધારને લિંક કરવા મામલે મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા પર કોઇ આપતિ નથી. નોંધનીય છે કે તમિલનાડુ સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાંથી કેસ મદ્રાસ હાઇકોર્ટમાં જ ચાલવાની અપીલ કરી હતી. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેમના વિરુદ્ધ પાસ આદેશની વૈશ્વિક અસર થશે.