વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. અયોધ્યાથી પરત ફરતાની સાથે જ તેમણે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી, ત્યારબાદ તેમણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. મોદી સરકારે દેશના એક કરોડ ઘરોની છત પર રૂફટોપ સોલાર લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.


વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને 'પ્રધાનમંત્રી સોલાર યોજના'ની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે. તે ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરશે.






તેમણે કહ્યું કે, "દુનિયાના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી હંમેશા ઊર્જા મળે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો સંકલ્પ વધુ દૃઢ થયો છે કે ભારતની જનતાને તેમના પોતાના તેમના ઘરની છત પર સોલાર રૂફ ટોપ સિસ્ટમ હોય."


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "અયોધ્યાથી પરત ફર્યા બાદ, મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે "પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના" શરૂ કરશે. તેનાથી ગરીબોના વીજળીના બિલમાં ઘટાડો થશે અને આ ઉપરાંત, ભારત ઉર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે.


વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે જુલાઈમાં રૂફટોપ સોલર માટે નેશનલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ યોજના હેઠળ, સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી સીધી ગ્રીડમાં જાય છે અને ઘરેલું વીજળીનું બિલ ઓછું થાય છે. એક કિલોવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ લગભગ 1200 થી 1400 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે.  


વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રામ અગ્નિ નહી પરંતુ ઊર્જા છે. તેમણે કહ્યું કે રામ વિવાદ નથી, પરંતુ સમાધાન છે. પીએમ મોદીએ કહ્યું કે રામ ભારતની આસ્થા છે, રામ ભારતનો આધાર છે, રામ ભારતનો વિચાર છે, રામ ભારતનું વિધાન છે, રામ ભારતનું ચિંતન છે, રામ ભારતની પ્રતિષ્ઠા છે. રામ ભારતનો પ્રતાપ છે. રામ પ્રભાવ છે, રામ પ્રવાહ છે, રામ નિતિ પણ છે, રામ નિત્યતા છે, રામ નિરંતરતા પણ છે. રામ વ્યાપક છે. તેથી જ્યારે રામની પ્રતિષ્ઠા થાય છે તો તેનો પ્રભાવ સદીઓ સુધી ટકતો નથી, તેની અસર હજારો વર્ષો સુધી રહે છે.