અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને સરકારી બેંકોના પેન્શનર્સના અવસાન પછી તેમની વિધવાઓને આપવામાં આવતા ફેમિલી પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે, સરકારી બેંકોના પેન્શનર્સના અવસાન પછી તેમની વિધવાઓને છેલ્લા 10 માસના બેઝિક પગારના 30 ટકા પેન્શ આપવામાં આવશે. અત્યાર સુધી છેલ્લા 10 માસના બેઝિક પગારના 15 ટકા પેન્શ અપાતું હતું.  


આ નવી જાહેરાતને કારણે અત્યાર સુધી રૂપિયા 6000થી રૂપિયા 9000નું પેન્શન મેળવતા પટાવાળાઓની વિધવાને રૂપિયા 12,000 કે તેનાથી વધુ ફેમિલી પેન્શન મળતું થશે. આ જ રીતે ક્લાર્કની કેટેગરીમાં આવતા અને નિવૃત્ત કર્મચારીનું અવસાન થઈ ગયું હોય અને તેમનાં પત્ની જીવિત હોય તો તેમને અત્યારે મળતા રૂપિયા 12,000ની આસપાસનું ફેમિલી પેન્શન વધીને રૂપિયા 15,000થી રૂપિયા 18,000ની આસપાસ થઈ જશે.


એ જ રીતે ઑફિસર્સ કેટેગરીના અધિકારીઓને આપવામાં આવતું ફેમિલી પેન્શન રૂપિયા 15,000થી વધીને રૂપિયા 30,000 કે તેનાથી વધારે થઈ જશે. આ રકમ તેમની વિધવા પત્નીઓને આપવામાં આવશે. બેંક યુનિયનો તથા ઉચ્ચ અધિકારીઓ સાથેની નાણાં મંત્રી નિર્મલા સીતારામનની બેઠક બાદ નાણાં સચિવ દેબાશિષ પાન્ડાએ પ્રઆ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર અને બૅન્કના કર્મચારી યુનિયન સાથે પહેલી નવેમ્બર 2020ના દિને આ માટે કરાર થયા હતા. આ કરારના અનુસંધાનમાં પ્રસ્તુત જાહેરાત કરવામાં આવી હોવાનું ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેન્કટ ચલમનું કહેવું છે.


બૅન્ક કર્મચારીઓને ત્રણ સ્લેબમાં ફેમિલી પેન્શન આપવામાં આવતું હતું. આ ત્રણ સ્લેબ 15, 20 અને 30 ટકાના હતા. તેમાં રૂપિયા 9248ની અપર લિમિટ મૂકવામાં આવી હતી.