દિલ્લીમાં 26 જાન્યુઆરીએ હિંસાને લઈ એસઆઈટીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. હિંસાનું ષડયંત્ર બહુ પહેલા જ રચાયું હતુ. સૂત્રો મુજબ તોફાન માટે અમૂક ખાસ ગ્રુપોને જ લાલ કિલ્લા અને આઈટીઓ પર એકત્ર થવાનું કહેવાયું હતુ.


જેથી ભીડમાં રહીને તોફાનની શરૂઆત કરાવે અને બાદમાં આંદોલનકારીઓની ભીડનો હિસ્સો બની તેમને પણ તોફાનમાં સામેલ કરવામાં આવે. પોલીસના સૂત્રો મુજબ ઈકબાલસિંહ નામના શખ્સ પર પોલીસે 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જેની મહત્વની ભૂમિકા હોવાની શક્યતા છે.

દાવો છે કે ઈકબાલસિંહે લાલ કિલ્લાની અંદર ભીડ જમા કરાવી હતી. ઈકબાલસિંહે જ ખેડૂતોને ભડકાવ્યા હતા અને ગેટ તોડવા માટે ઉશ્કેર્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે જે વીડિયોમાં ઇકબાલ સિંહ જોવા મળી રહ્યો છે તેનાથી પણ સ્પષ્ટ થાયછે કે તે ભીડને ભડકાવી રહ્યો હતો. એટલું જ નહીં તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હાજર હતા એ બધા પણ આ જ કામ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની SIT 26 જાન્યુઆરીએ થયેલ હિંસાની તપાસ કરી રહી છે. હિંસાના આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 124 લોકોથી વધારેની ધરપકડ કરી છે જ્યારે 44 એફઈઆઆર નોંધવામાં આવી છે. 44 કેસમાંથી 14 કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટી કરી રહી છે. એટલું જ નહીં પોલીસે અત્યાર સુધીમાં 70થી વધારે ઉપદ્રવિઓની તસવીર પણ બહાર પાડી છે.