નવી દિલ્લીઃ ચીન જવા  માંગતા ભારતીયો માટે મહત્વના સમાચાર છે. ચીન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે ભીરતાયો ચીન આવવા માગતા હશે તેમણે ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન લેવી ફરજિયાત છે. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન લેનારા ભારતીયોને જ વિઝા આપશે.


ચીન જનારા તમામ વિદેશી નાગરિકોએ ઈલેક્ટ્રોનિક હેલ્થ ડિક્લેરેશન પણ ભરવું પડશે. વિદેશી નાગરિકોએ ન્યૂક્લિક એસિડ ટેસ્ટનું નેગેટિવ સર્ટિફિકેટ અને આઈજીએમ ટેસ્ટના રિપોર્ટ પણ જમા કરવા પડશે. આ ઉપરાંત વિદેશી નાગરિકોએ ચીન પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈન પણ રહેવું પડશે. 


ભારત ખાતેની ચીની એમ્બસીની વેબસાઈટ પર આ અંગેની નોટિસ મૂકવામાં આવી છે. આ નોટિસ પ્રમાણે, ચીનના વિઝા મેળવવા માટે લોકોએ વેક્સિનેશનનું સર્ટિફિકેટ દેખાડવું પડશે. ભારતમાં હાલ કોઈ ચીની વેક્સિનને મંજૂરી નથી મળી. તેના કારમે કઈ રસી લેવી એ સવાલ ઉભો થયો છે. આ જાહેરાતના કારણે ભારતીયો ચીન જઈ જ ના શકે એઓવી સ્થિતી પેદા થઈ ગઈ છે.  લોકોએ ચીની એમ્બસીના નિર્ણય અંગે આશ્ચર્ય દર્શાવ્યું છે. ચીની એમ્બસીના કહેવા પ્રમાણે ચીનમાં તૈયાર થયેલી કોરોના વેક્સિન લગાવનારા લોકો મહામારી પહેલાં જે રીતે વિઝા માટે એપ્લાય કરતા તે જ રીતે એપ્લાય કરી શકશે. 


પાકિસ્તાન, બ્રાઝિલ, ચિલી સહિત વિશ્વના અનેક દેશના લોકોને ચીનની વેક્સિન અપાઈ રહી છે. યુએઈ અને બહરીને ડિસેમ્બરમાં જ ચીન દ્વારા બનાવાયેલી સિનોફાર્મની કોરોના વેક્સિનને મંજૂરી આપી હતી. સિનોફાર્મ ચીનની સરકારી કંપની છે. મંજૂરી પહેલા બંને દેશમાં ચીની વેક્સિનની ટ્રાયલ પણ યોજવામાં આવી હતી. 


સિંગાપુર, મલેશિયા અને ફિલીપાઈન્સે પણ ચીની કંપની સિનોવૈક સાથે કરાર કર્યા છે. ઈન્ડોનેશિયામાં જાન્યુઆરી મહિનાથી ચીની વેક્સિન અપાઈ રહી છે. તુર્કીએ પણ સિનોવૈકની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે.  અત્યાર સુધીમાં 17 દેશોએ ચીનમાં તૈયાર થયેલી કોરોના વેક્સિન ખરીદી છે. તેમાં સિનોવૈક, સિનોફાર્મ, કૈનસિનો કંપનીની કોરોના વેક્સિનનો સમાવેશ થાય છે.