નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ યથાવત છે. બે મહિના બાદ 25 મેથી સરકારે ઘરેલુ ઉડાન ફરીથી શરૂ કરવાનો ફેંસલો લીધો હતો. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેનાથી લોકડાઉનની અધૂરી નીતિ પર સવાલ ઉભા થાય છે. 25 મેના રોજ ચેન્નાઈથી કોયંબટૂરની ઈંડિગો ફ્લાઇટનો યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. આ ઉપરાંત અલગ અલગ ત્રણ ઉડાનમાં પણ યાત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે.


ઈંડિગોએ કહ્યું કે, ચેન્નઈથી કોયંબટૂરની તેમની ઉડાનમાં સોમવારે યાત્રા કરી ચુકેલો એક યાત્રી કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યું, કોયંબટૂર એરપોર્ટના ડોક્ટરે પુષ્ટિ કરી છે કે 25 મેની સાંજે 6E381 ફ્લાઇટમાં ચેન્નઈથી કોયંબટૂર સુધી યાત્રા કરનારો એક પેસેન્જર કોવિડ-19 સંક્રમિત મળી આવ્યો છે. હાલ કોયંબટૂરમાં ઈએસઆઈ સ્ટેટ મેડિકલ ફેસિલિટીમાં કોરેન્ટાઈન છે.

ચેન્નઈથી કોયંબટૂર ઈંડિગો ઉપરાંત દિલ્હીથી લુધિયાણા એલાયંસ એરના વિમાનમાં પણ એક કોરોના સંક્રમિત મળી આવ્યો છે. ઉપરાંત 21 તારીખે ટોરંટોથી દિલ્હી આવેલા એર ઈન્ડિયાના વિમાનમાં બે કેબિન ક્રૂ પોઝિટિવ આવ્યા છે. આમ કુલ ત્રણ ફ્લાઇટમાં ચાર કોરોના સંક્રમિત દર્દી મળ્યા છે.