Udaipur Murder Case Update: રાજસ્થાનના ઉદયપુરમાં કરવામાં આવેલી કન્હૈયાલાલ હત્યા કેસમા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. NIAની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ હત્યામાં મોહમ્મદ ગૌસ અને રિયાઝ સિવાય કુલ પાંચ લોકો સામેલ હતા. દરજી કન્હૈયાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. ઘટના દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે બેકઅપ પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકો સામેલ હતા.






કન્હૈયાલાલ હત્યા કેસની તપાસ કરી રહેલી NIAએ મુખ્ય આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝના બે સાથીઓ મોસીન અને આસિફની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. બંનેએ NIA ટીમને જણાવ્યું હતું કે હત્યા બાદ મોહમ્મદ ગૌસ અને રિયાઝને એક સેફ પેસેજ આપવા માટે બેકઅપ પ્લાન પણ તૈયાર હતો. આ બેકઅપ પ્લાનમાં ત્રણ લોકો સામેલ હતા. પ્લાન મુજબ મોસીન અને તેનો સાથી આસીફ કન્હૈયાલાલની દુકાનથી થોડે દૂર ઉભા હતા. જ્યારે તેઓનો અન્ય એક સાથી સ્કૂટી પર હાજર હતો.


આ હતી યોજના


મોસીન અને આસિફે તપાસ ટીમને જણાવ્યું કે તેઓ પ્લાનિંગ કરી રહ્યા હતા કે, કન્હૈયાલાલની હત્યા કર્યા પછી જો ગૌસ અને રિયાઝ કોઈ કારણસર પકડાઈ જાય, તો તેમને ત્યાંથી બહાર કાઢવાનું કામ આ ત્રણનું હતું. તેમની પાસે ખંજર પણ હતા અને તેઓ ટોળા પર હુમલો કરીને તેમને બચાવી લેતા.


પોલીસે કન્હૈયાની હત્યામાં સામેલ હત્યારા મોહમ્મદ ગૌસ અને રિયાઝની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કેસની તપાસ કરી રહેલી NIAની ટીમે તેના બે સહયોગીઓ મોસીન અને આસિફની પણ ધરપકડ કરી છે. આ બંનેને આજે જયપુરમાં NIAની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


28 જૂને તેની દુકાનમાં ઘૂસીને ટેલર કન્હૈયાલાલની મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે તિક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપીને હત્યા કરી હતી. હત્યારાઓએ કન્હૈયાલાલની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. તેણે વીડિયોની સાથે એક મેસેજ પણ જાહેર કર્યો હતો જેમાં હત્યારાઓ કહી રહ્યા છે કે તેણે આ હત્યા ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે કરી છે. જો કે રાજસ્થાન પોલીસે બંનેની ધરપકડ કરી હતી. NIA આ મામલાની તપાસ કરી રહી છે, જેમાં રાજસ્થાન પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ તેમને તપાસમાં મદદ કરી રહી છે.