TikTok પર પ્રતિબંધને લઈ નુસરત જહાંએ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jul 2020 03:42 PM (IST)
તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં આજે કોલકાતામાં ઈસ્કોન દ્વારા આયોજિત ઉલ્ટા રથ યાત્રા સમારોહમાં સામેલ થઈ હતી.
નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે બે દિવસ પહેલા સૌથી મોટો નિર્ણય લીધો હતો. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. આ એપ્સના ભારતમાં લાખો-કરોડો યૂઝર્સ હતા. ટિક ટોક પર પ્રતિબંધ બાદ આજે એકટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ મોટું નિવેદન આપ્યું હતું. તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં આજે કોલકાતામાં ઈસ્કોન દ્વારા આયોજિત ઉલ્ટા રથ યાત્રા સમારોહમાં સામેલ થઈ હતી. જે બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું ટિકટોક એક મનોરંજન એપ છે. આ એક આવેગજનક નિર્ણય છે. વ્યૂહરચના શું છે ? લોકો બેરોજગાર બનશે તેનું શું ? તેણે એમ પણ કહ્યું, લોકોને નોટબંધીની જેમ મુશ્કેલી પડશે. રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોવાથી મને કોઈ વાંધો નથી પરંતુ આ બધા પ્રશ્નોનો જવાબ કોણ આપશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારા મોબાઈલમાં ભલે પ્રતિબંધિત એપ હોય પરંતુ તમે તેને અપડેટ નહીં કરી શકો. ઉપરાંત ભારતમાં તેને કોઈ પ્રકારનો ડેવલપર સપોર્ટ પણ નહીં મળી શકે.