નવી દિલ્હીઃ 17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલની ટીકિટ પરથી ચૂંટણી જીતનાર બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી તથા નુસરત જહાંએ મંગળવારે સંસદમાં શપથ લીધા હતાં. બંને શપથ બાદ સ્પીકર ઓમ બિરલાને પગે લાગી હતી.

સંસદ સત્રમાં નુસરત જહાં પારંપરિક અંદાજમાં જોવા મળી હતી. નવપરિણીત નુસરત માથામાં સિંદૂર, હાથમાં મહેંદી તથા લગ્નચૂડામાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, નસુરતે 19 જૂને તૂર્કીના બોડરમ સિટીમાં બિઝનેસમેન નિખીલ જૈન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં બિઝી હોવાને કારણે નુસરત સંસદના પહેલાં દિવસે શપથ લઈ શકી નહોતી.

નુસરતના લગ્નમાં તેની ક્લોઝ ફ્રેન્ડ મિમી ચક્રવર્તી પણ જોવા મળી હતી. મિમીએ પણ નુસરતની સાથે જ શપથ લીધા હતાં. મિમી તથા નુસરતે મોડા શપથ લેતા સોશિયલ મીડિયા યુઝર્સે બંનેને ટ્રોલ કર્યાં હતાં.

યુઝર્સે કહ્યું હતું કે, લગ્ન તથા રિસેપ્શન માટે નુસરત પાસે સમય છે પરંતુ સંસદમાં શપથ માટે સમય નથી. કેટલાંકે કહ્યું હતું કે, સંસદ સત્ર અંગે પહેલેથી જાણ હતી તો લગ્નની ડેટ્સમાં ફેરફાર કરી શકાઈ હોત.