TMC crisis 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બંગાળમાં ધારાસભ્યોના બળવા બાદ હવે પાર્ટીના 20 લોકસભા સાંસદોએ પણ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. આ 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ભાજપના નેતૃત્વવાળા NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ને પોતાનો ટેકો જાહેર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મમતા બેનર્જી હાલમાં 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં જ છે, અને બરાબર એ જ સમયે તેમની જ પાર્ટીના સાંસદોએ અલગ જૂથ બનાવીને TMC છાવણીમાં મોટો ભૂકંપ સર્જી દીધો છે.

NDA સાથે ભવિષ્ય સુરક્ષિત હોવાનો દાવો

સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, આ બળવાની આગેવાની કાકોલી ઘોષ દસ્તીદારે લીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના સહિત 20 સાંસદોએ NDA ને સમર્થન આપવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. કાકોલી દસ્તીદારે કહ્યું કે, "અમે બંગાળમાં ચૂંટણીના પરિણામો સ્વીકારી લીધા છે અને હવે અમને લાગે છે કે અમારું રાજકીય ભવિષ્ય અને માર્ગ NDA સાથે જ સુરક્ષિત છે." આ તમામ બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા ફાળવવાની પણ વિનંતી કરી છે.

Continues below advertisement
Continues below advertisement

સુવેન્દુ અધિકારી સાથે થઈ હતી ગુપ્ત બેઠક

છેલ્લા ઘણા સમયથી TMC માં ભાગલા પડવાની અટકળો ચાલી રહી હતી. આ અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે સુખેન્દુ રોય અને કાકોલી દસ્તીદારના નેતૃત્વમાં 16 TMC સાંસદોએ ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી. દિલ્હીમાં આ બળવાખોર સાંસદોએ એક અનૌપચારિક અને ગુપ્ત બેઠક પણ યોજી હતી, જેમાં 20 સાંસદો હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

બળવો કરનારા મુખ્ય સાંસદો કોણ છે?

આ લિસ્ટમાં કાકોલી દસ્તીદાર, પાર્થ ભૌમિક, જગદીશ બાસુનિયા, દેવ, શતાબ્દી રોય, રચના બેનર્જી, કાલીપદ સોરેન, અરૂપ ચક્રવર્તી, અસિત માલ, શત્રુઘ્ન સિંહા, પ્રસૂન બેનર્જી, પ્રતિમા મંડલ અને બાપા હલીદાર જેવા મોટા નામો સામેલ છે. એવું મનાય છે કે આ પૂરતા સંખ્યાબળ સાથે તેઓ હવે નવી રાજકીય પાર્ટી અથવા લોકસભામાં નવો બ્લોક બનાવી શકે છે.

પહેલા ધારાસભ્યો અને હવે સાંસદોનો બળવો

નોંધનીય છે કે, TMC માં આ ભંગાણ રાતોરાત નથી પડ્યું. દિલ્હીમાં સાંસદોના બળવા પહેલા જ પશ્ચિમ બંગાળમાં TMC ના ધારાસભ્યોએ બળવો કર્યો હતો. તાજેતરમાં જ પાર્ટી હાઈકમાન્ડને મોટો ઝટકો આપતા 58 ધારાસભ્યોએ પક્ષના સત્તાવાર ઉમેદવાર શોવનદેવ ચટ્ટોપાધ્યાયને ફગાવી દીધા હતા અને વિરોધ પક્ષના નેતા તરીકે ઋતબ્રત બેનર્જીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. એ સમયે ધારાસભ્યોએ પણ અલગ પાર્ટી બનાવવાની ચીમકી આપી હતી. હવે લોકસભા સાંસદોના આ પગલાંથી મમતા બેનર્જી માટે પોતાનો પક્ષ બચાવવો એક મોટો પડકાર બની ગયો છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી