નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું આજે વિસ્તરણ કરાશે. આ વિસ્તરણમાં નવા 19 મંત્રીઓ શપથ લેશે તેવું ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતના ત્રણ નવા મંત્રીઓ આજે શપથ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધારે છ મંત્રીઓ શપથ લેશે. આજે બપોરે 11 કલાકે રાષ્ટ્રપતિભવન ખાતે આ શપથવિધી યોજાશે. નવા પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરાશે તે અંગે અટકળો ચાલી રહી છે પણ ખરેખર કોનો સમાવેશ થશે તે અંગે 11 કલાકે જ સસ્પેન્સ ખૂલશે. રાષ્ટ્રપતિભવન ખાતે આ શપથવિધીની તૈયારીઓ કરી દેવાઈ છે.


આ વિસ્તરણ પહેલાં મોહન કુંડારિયાએ રાજીનામું આપી દીધું હતું. કુંડારિયાને પડતા મૂકી તેમના સ્થાને પરશોત્તમ રૂપાલાનો સમાવેશ કરાશે. એ જ રીતે ગુજરાતના બીજા પ્રધાન મનસુખ વસાવાએ પણ રાજીનામું આપી દીધું છે. વસાવાને સ્થાને જશવંતસિંહ ભાભોરનો કેબિનેટમાં સમાવેશ કરાય તેવી શક્યતા છે. થોડીક વારમાં બીજા કેટલાક પ્રધાનો પણ રાજીનામાં આપે તેવી શક્યતા છે. બીજી તરફ ભાજપના ટોચના નેતાઓએ આજે સવારે એક અનૌપચારિક બેઠક યોજીને રાજકીય પરિસ્થિતીની ચર્ચા કરી હતી.