વિશેષ પડકારનો સામનો કરી રહેલી દુનિયાને ભગવાન બુદ્ધના આદર્શોથી મળી શકે છે સમાધાનઃ પીએમ મોદી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2020 10:51 AM (IST)
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ દ્વારા અષાઢી પૂનમને ધર્મ ચક્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મ ચક્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. જેની થોડી મિનિટો બાદ પ્રધાનમંત્રી મોદીએ વર્ચુઅલ સંમેલનને સંબોધન કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે. લોકો માટે આદર કરવો, ગરીબો માટે આદર રાખવો, મહિલાઓને આદર રાખવો. શાંતિ અને અહિંસાનો આદર રાખવો, તેથી બુદ્ધ દ્વારા આપવામાં આવેલી શીખ આજે પણ પ્રાસંગિક છે. પીએમ મોદીએ વર્ચુઅલ બૌદ્ધ સંમેલનમાં કહ્યું- યુવા દિમાગ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. ભારતમાં હાલ વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ છે. આજે દુનિયા કેટલાક વિશેષ પડકારનો સામનો કરી રહ્યું છે. આ પડકારો માટે સ્થાયી સમાધાન ભગવાન બુદ્ધના આદર્શોથી આવી શકે છે. જે ભૂતકાળમાં પ્રાસંગિક હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ બની રહેશે.