નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 17656 પર પહોંચી છે. સાંજે પાંચ વાગ્યા બાદ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 559 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે, જ્યારે 2842 લોકો સ્વસ્થ થયા છે.




કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં આજે 283 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 4483 પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 187 લોકોના મોત થયા છે.

પુડુચેરીમાં માહ, કર્ણાટકના કોડાગુ અને ઉત્તરાખંડના પૌરી ગરવાલમાં છેલ્લા 28 દિવસમાં કોઈ COVID19 કેસ નોંધાયો નથી. છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નોંધાયા ન હોય તેવા જિલ્લાઓની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે. ગોવામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, ગોવા હવે કોવિડ -19થી મુક્ત થયું છે.

મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટર પણ સામેલ છે. સોમવારે સવારે આ પત્રકારોનો રિપોર્ટ આવ્યો હતો. કુલ 167 પત્રકારોનો કોરોના વાયરસ ટેસ્ટ 16 એપ્રિલે કરવામાં આવ્યો હતો.