નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2553 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 42533 પર પહોંચી છે. ટોટલ એક્ટિવ કેસ 29453 છે. છેલ્લા 24 કલાકમાં 1074 દર્દીઓ સ્વસ્થ થયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. રિકવરી રેટ 27.52 ટકા છે.




લવ અગ્રવાલે કહ્યું કે કોવિડ-19 જેવી મહામારીમાં પ્રતિબંધોમાં ઢીલ બાદ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન નહી કરવામાં આવે તો સંક્રમણ ફેલાવાની સંભાવના ઝડપથી વધી જાય છે. તેમણે કહ્યું જે જિલ્લામાં રિપોર્ટ નથી આવ્યા ત્યાં કેસ આવશે તો જે છૂટ આપવામાં આવી છે તે પરત લેવામાં આવશે.

કેંદ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, દેશના તમામ 3 ઝોનમાં ઘણા પ્રતિબંધો સાથે છૂટ છાટ આપવામાં આવી છે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ નથી. રેડ ઝોનમાં જરૂરી ચીજ વસ્તુ માટે ઈ કોમર્સ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાથી બચવા માટે સાવધાની રાખવાની જરૂર છે. તમામ ઝોનમાં છૂટ સાથે ઘણા પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે.