નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12759 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 420 લોકોના આ ખતરનાક વાયરસના કારણે મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં કરોનો વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3000થી વધુ છે.




સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશના 325 જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણનો અત્યાર સુધીમાં કોઈ કેસ સામે નથી આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 2,90,401 Covid 19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે 30,043 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતને ચીનની બે કંપનીઓ તરફથી એન્ટીબોડી ટેસ્ટ કિટ સહિત પાંચ લાખ ટેસ્ટ કિટ મળી છે.

પત્રકાર પરિષદમાં હાજર ગૃહમંત્રાલયના અધિકારીએ કહ્યું કે સાર્વજનિક સ્થળો અને કાર્યસ્થળ પર માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવા જેવા નિયમોનું કડક લાગૂ કરવું જોઈએ. પાંચ કે તેથી વધુ લોકો એક સ્થળ પર એકઠા ન થવા જોઈએ.