નવી દિલ્હીઃ દેશનાં અનેક ટ્રેડ યૂનિયનો દ્વારા 2 સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત બાદ નરેન્દ્ર મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સોમવારે સાંજે એક ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી ઉર્જા પ્રધાન પીયુષ ગોયલ અને શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેય સામેલ હતા.


કેન્દ્ર સરકારે અંદાજે 33 લાખ કર્મચારીઓ માટે મંગળવારે વાર્ષિક બોનસની જાહેરાત કરી જે વિતેલા બે વર્ષથી બાકી હતી. આ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારી માટે 2014-15 અને 2015-16નું બોનસ સંશોધિત માપદંડોને આધારે આપવામાં આવશે. આ બે વર્ષથી બાકી હતું. ત્યાર બાદ બોનસ સાતમાં પગાર પંચની ભલામણને આધારે આપવામાં આવશે.

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, સરકારે સલાહકાર બોર્ડની ભલામણ સ્વીકારી લીધી છે. તેમણે જણાવ્યું કે, બિનકૃષિ કામદારો માટે ઓછામાં ઓછું વેતન 350 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે જે હાલમાં 246 રૂપિયા પ્રતિ દિવસ છે. લેફ્ટે સરકારના ઓછામાં ઓછાં વેતન વધારાના દરને ફગાવી દીધો છે. સીટૂનું કહેવું છે કે, માસિક 18000 રૂપિયા ઓછામાં ઓછું વેતન હોવું જોઈએ.

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે કહ્યું કે, તે ટ્રેડ યૂનિયનોના પ્રતિનિધિઓ સાથે વાત કરવા તૈયાર છે. ટ્રેડ યૂનિયનોએ શુક્રવારે પોતાની પ્રસ્તાવિત હડતાળ રદ્દ ન કરવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેડ યૂનિયનોએ ચેતવમી ઉચ્ચારી છે કે શુક્રવારે દેશભરમાં બેંક, સરકારી કાર્યાલય અને કારખાના બંધ રહેશે. જોકે રેલવે કર્મચારીઓએ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તે આ હડતાળમાં સામેલ થશે. તેનો મતલબ એ છે કે રેલવે સેવાઓ પર હડતાળની કોઈ અસર નહીં પડે.