નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સાધ્વી ઉમા ભારતીએ કહ્યું કે, તે આગામી છ વર્ષ સુધી હિમાલય પર રહીને મૌન વ્રત ધારણ કરશે.


ઉમા ભારતીએ બુધવારે બ્રહ્મલીન મહંત દિગ્વિજનાથજીની 50મી અને રાષ્ટ્રસંત બ્રહ્મલીન મહંત અવેદ્યનાથની પાંચમી પુષ્ણતિથિ સમારોહમાં રાષ્ટ્રસંત બ્રહ્મલીન મહંત અવેદ્યનાથજીની સ્મૃતિમાં આયોજીત શ્રદ્ધાંજલિ સભાના સમાપન અવસર પર કહ્યું કે તે કાલે હિમાલયથી આવી છે અને આજે જ હિમાલય જશે. તે ત્યાં છ વર્ષ સુધી મૌન રહીને જીવન વ્યતીત કરવા માંગે છે.

તેમણે કહ્યું કે, આગામી વર્ષોમાં ગંગા નિર્મલ થઇ જશે અને જો ગંગા પર કોઇ સંકટ આવશે તો તે પ્રાણ આપતા પણ નહી અચકાય. સાધ્વીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના સેંકડો કિલોમીટર ક્ષેત્રમાં ગંગા વહી રહી છે. આશા છે કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગંગાને અવિરલ અને નિર્મલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર ઉમા ભારતીએ કહ્યું કે  તે ત્યાં ભવ્ય મંદિર સિવાય કાંઇ ઇચ્છતી નથી અને આશા વ્યક્ત કરી હતી કે આ શુભ અવસર જલદી આવશે કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે.