નવી દિલ્હીઃ પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ હાલમાં ફરીવાર ચર્ચામાં છે. ગિરિરાજ સિંહે આપેલા એક નિવેદનને કારણે વિવાદ પેદા થઇ ગયો છે. તેમણે કહ્યું કે, ભારતમાં જેટલા પણ મુસલમાનો છે તે તમામ પ્રભુ શ્રી રામના વંશજો છે ના કી મુગલોના. ગિરિરાજ સિંહે કહ્યું કે, એટલા માટે મુસલમાનો રામ મંદિર બનાવવાનો વિરોધ ના કરે.


ઉત્તરપ્રદેશના બાગપતમાં ગિરિરાજ સિંહે કહ્યું કે, મુસ્લિમ લોકો રામ મંદિરનો વિરોધ ના કરે. જે લોકો રામ મંદિરનો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ સમર્થન આપે. નહીં તો તેનાથી હિંદુઓ નારાજ થઇ જશે. મુસ્લિમોથી નફરત કરવા લાગશે અને જો આ નફરત જ્વાળાઓમાં ફેરવાઇ જશે તો મુસ્લિમો વિચારે કે પછી શું થશે.

મંત્રીએ કહ્યું કે, રામ મંદિર જરૂર બનવું જોઇએ, આ મુદ્દો કેન્સરના બીજા સ્ટેજ જેવો છે. રામ મંદિર નહીં બને તો આની સારવાર થઇ શકશે નહીં. ગિરિરાજ સિંહ જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજીત જનસંખ્યા કાયદા રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, જ્યાં હિન્દુઓની વસ્તી ઓછી છે ત્યાં તેમની અવાજ બંધ થઇ જાય છે. પ્રદેશના 20 જિલ્લામાં 20 વર્ષ પછી હિન્દુઓનો અવાજ ખુલશે નહીં. દેશમાં એવા 54 જિલ્લાઓ છે જ્યાં હિન્દુઓની વસ્તી ઘટી છે. આવનારા વર્ષેમાં 250 જિલ્લામાં આજ સ્થિતિ હશે. સર્વધર્મ સમભાવ શીખવાડવું હોય તે મુસ્લિમોને શીખવાડો.

મોદીના મંત્રીએ કહ્યું કે, હું સનાતમ ધર્મ માટે ભાજપ, મંત્રીપદ અને સાંસદનું પદ છોડવા માંગું છું. ગિરિરાજ સિંહે કહ્યું કે, લઘુમતીની પરિભાષા બદલવી જોઇએ જ્યાં પાંચ ટકા છે ત્યાં પણ લઘુમતી અને જ્યાં 90-95 ટકા છે ત્યાં પણ લઘુમતી કહેવું એ પણ ખોટું છે. જે વસ્તી કાયદો ન માને તેનો મતાધિકાર છીનવી લેવો જોઇએ, કાયદો અને આર્થિક કાર્યવાહી જેવી જોગવાઇઓ કરવી જોઇએ.