નવી દિલ્હીઃ કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો આજે પૂરો થઈ રહ્યો છે. શનિવારે સાંજે ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉનના પાંચમા તબક્કાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેની સાથે ગૃહ મંત્રાલયે દેશમાં અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા ત્રણ તબક્કામાં અનલોક કરવાની એટલ કે ઉઠાવી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.


દેશભરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં સોમવારથી લોકડાઉન ખૂલી રહ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન લાગુ રહેશે. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં પરિવહન તથા ઓફિસ-દુકાન ખોલવા પર નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે. જોકે, આ સમયમાં લોકો માટે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું છે.


- ઓફિસ, જાહેર સ્થળો, પ્રવાસમાં ચહેરો માસ્ક-કપડાંથી ઢાંકી રાખવો પડશે.
- જાહેર સ્થળો પર બધા લોકોએ ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
- જાહેર સ્થળો પર થૂંકનારને રાજ્યોના નિયમ અને કાયદા મુજબ સજા થશે.
- જાહેર સ્થળો પર દારૂ, પાન, મસાલા, ગુટખા, તમાકુ વગેરેનું સેવન નહીં કરી શકાય.
- ઓફિસ, કામના સ્થળ, દુકાન, બજાર, ઔદ્યોગિક અને કોમર્શિયલ સંસ્થામાં બે શિફ્ટ વચ્ચે અંતર રાખવું પડશે.
- શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે.
- બધા જ ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો, ઓફિસમાં પ્રવેશ અને બહાર નીકળવાના સમયે થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડવોશ, સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.
- કામના સ્થળો પર નિયમિત રીતે સેનિટાઇઝેશન કરાવવું પડશે. દરવાજા, હેન્ડલ જેવી લોકોના સંપંકપ્માં આવતી વસ્તુઓને સમયાંતરે સેનિટાઇઝ કરાવવી પડશે.